નરેન્દ્ર મોદી 14 જુલાઇએ પુનાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા યોજશે
તાજેતરમાં જ દિલ્હીની જાણીતી શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓ સાથે દેશના રાજકીય પરિપેક્ષમાં તેમણે ચર્ચા કરી હતી. હવે તેઓ પુણેની ફર્ગ્યુશન કોલેજના વિદ્યાર્થીઓને મળશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોદીએ વિચાર ગોષ્ઠિ પહેલા આ કોલેજના વિદ્યાર્થીઓને રૂબરૂ મળતા પહેલા દેશમાં વિશ્વાસના અભાવ અને તેને દુર કરવાના ઉપાયો સંદર્ભમાં યુવા વિદ્યાર્થીઓ પાસે સુચનો મંગાવ્યા છે.
નરેન્દ્ર મોદીએ વિચાર ગોષ્ઠિ પુર્વે ‘યુથ આર નોટ ફોર જસ્ટ ન્યુ વોટર. ધે આર ન્યુ એજ પાવર'નો નારો આપ્યો છે. લીબરલ લર્નિંગ ઓફ ઇન્ડિયાના ઉદ્દેશથી 1888માં સ્થાપિત અને ડેક્કન સોસાયટી દ્વારા સંચાલિત ફર્ગ્યુશન કોલેજના સ્થાપકોમાં લોકમાન્ય બાળ ગંગાધર તિલક જેવા મહાપુરૂષોનું નામ જોડાયેલુ છે.
આ કોલેજમાં વીર સાવરકર, કાકા કાલેલ્કર જેવી હસ્તીઓએ અભ્યાસ કર્યો હતો. હાલમાં અહી નેચરલ સાયન્સ, ઇલેકટ્રોનીકસ, હ્યુમન સાયન્સ અને સોશ્યલ સાયન્સ જેવા અભ્યાસક્રમોમાં 5500 વિદ્યાર્થીઓ સ્નાતક તથા તેથી ઉપરનો અભ્યાસ કરી રહ્યા છે.