મોરારીબાપુ હવે ઇરાકમાં રામકથા કરશે
ઇતિહાસની દ્રષ્ટિએ જોઇએ તો કરબલા શહેર ઇમામ હુસેનની શહાદત માટે જાણીતું છે. શનિવારે અમદાવાદમાં મોરારી બાપુએ આગામી વર્ષમાં ઇરાકમાં રામકથા કરવાના પોતાના આયોજન અંગે વાત કરરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મારી ઇચ્છા મેં કરબલાના ધર્મગુરુઓ અને સરકારને જણાવી હતી. તેમના દ્વારા સારો પ્રતિભાવ મળ્યો છે. આથી હું 2013 અથવા 2014માં કરબલામાં રામકથા કરીશ. હાલ, અમદાવાદમાં રામકથા કરી રહેલા મોરારી બાપુએ જણાવ્યું કે "કરબલામાં કથા માટે 80 ટકા જેટલી મંજૂરી મળી છે. કર ભલા તો હો ભલા, એટલે કરબલામાં કથા થશે."
ઇરાકમાં રામકથા કરવાના છો તો પાકિસ્તાનમાં કથા કરવાનો શું વિચાર છે? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે "લાહોર અને કરાચીનાં ગુજરાતી સ્થાનો પરથી મને આમંત્રણ મળ્યું છે, પણ બે રાષ્ટ્રો વચ્ચે એવા પ્રશ્નો ઊભા થાય છે કે વાત અટકી છે. પાકિસ્તાનનું આમંત્રણ મળે તો મને કોઈ તકલીફ નથી. બંને દેશો વચ્ચે સેતુબંધ બનવા માટે અને માનવતા માટે હું પાકિસ્તાનમાં રામકથા કરવા તૈયાર છું."