અંકલેશ્વરમાં ગર્જ્યા શિવરાજસિંહ, રાહુલ ગાંધી પર આકરો પ્રહાર
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લીધો હતો અને આ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને તેમનું આક્રમક વલણ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો જાણે આરોપ-પ્રત્યારોપણની હારમાળા ચાલી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધીમાં બે વાર રાજ્યની મુલાકાત લઇ ચૂક્યા છે અને આ દરમિયાન તેઓ ભાજપ, પીએમ મોદી અને અમિત શાહ પર પ્રહારો કરવાની એક પણ તક ચૂક્યા નથી. તો સામે ભાજપ પણ 15 દિવસ લાંબી ગૌરવ યાત્રામાં રોજ મોટા નેતાઓ લાવી રહ્યું છે અને તેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પ્રહારોનો આકરો જવાબ આપી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં રાહુલ ગાંધીએ કરેલ મંદિરની મુલાકાતો પર પણ પ્રશ્નો થઇ રહ્યાં છે.
ગૌરવ યાત્રામાં ભાગ લેવા પહોંચેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અંકલેશ્વર ખાતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેણે કોઇ દિવસની પૂજાની થાળી હાથમાં નથી લીધી, એ મંદિરમાં જઇ તિલક કરે છે. કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ ન હોત ભારત એક ના થયું હોત. નેહરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પોતાની પાસે ન રાખતાં સરદાર પટેલને આપ્યો હોત તો આજે પરિસ્થિતિ કંઇ અલગ હોત. આ પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગૌરવ યાત્રામાં જોડાઇ ચૂક્યાં છે.