મુસ્લિમ અનુયાયીએ પણ સ્વામીબાપાના દર્શન કરી થયા ગદગદિત
(માનસી પટેલ) પ્રમુખ સ્વામી વિશ્વસંત અને સહું કોઈ માટે પૂજનીય હતા, આ બાબતની પ્રતીતિ તેમના અંતિમ દર્શને આવેલા મુસ્લિમ અનુયાયી મમદીભાઈ લોખંડવાલાની શબ્દે શબ્દે થાય છે. મમદીભી સ્વામીશ્રીના અંતિમ દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે 9 વર્ષનો હતો ત્યારે અમારા ગુરૂ યોગીજી મહારાજે અમારે ત્યાં બોટાદમાં પધરામણી કરી હતી.
અને જ્યારે શાસ્ત્રીજી મહારાજે સાળંગપુર મંદિરનું નિર્માણકાર્ય શરૂ કર્યુ ત્યારે માલ સામાન અમારી પેઢીમાંથી જ લઈ જતા. ઘણી વાર તો સ્વામી બાપા જાતે જ ગાજુ લઇને આવતા. જ્યારે અમને કોઈ સમસ્યાઓ આવતી તો સ્વામી બાપાને વાત કરીએ કે પત્ર લખીએ એટલે અમને અમારા પ્રશ્નનું સમાધાન મળી જતું. જ્યારે પણ સ્વામી બોટાદ આવે અમારી દુકાનમાં જરૂર પધરામણી કરતા. અને કહેતા કે 'આ તો આપણા સ્વજન છે.' એવો તેમનો અમારા ઉપર સ્નેહ હતો.
જ્યારે મારે હજ કરવા જવું હતું. ત્યારે સ્વામીશ્રીને મેં પત્ર લખ્યોઃ 'સ્વામી ! મારે હજ કરવા જવું છે. મારી હજની યાત્રા સુખરૂપ રહે, મારી ક્રિયાઓ બરાબર અદા થાય.' તેવા આશીર્વાદ આપો અને તેમના આશીર્વાદથી જ હું સારી રીતે હજ કરીને પાછો આવ્યો. વળી પાછું આવીને પણ સ્વામીજીએ મને આશીર્વાદ આપ્યા. એ બહુ સરસ કામ થયું હતું. આજે અમારા દીકરાઓને પણ મંદિર તથા સત્સંગ માટે એટલું જ જોડાણ ધરાવે છે.