અ'વાદમાં રાહુલે કહ્યું, મમ્મીના કહ્યા પછી લાગ્યું કે મારા શબ્દો ખોટા હતા
અમદાવાદ, 4 ઓક્ટોબર: કલંકિત નેતાઓને બચાવવા માટે કેન્દ્રીય મંત્રિમંડળ દ્વારા લાવવામાં આવેલ વિવાદિત વટહુકમ પરત ખેંચાયાના એક દિવસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું કે તેમના કહેવાનો અંદાજ ખોટો હોઇ શકે છે, પરંતુ મારી ભાવના ખોટી ના હોઇ શકે. રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.
રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે 'મારી માતા(કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી)એ મને જણાવ્યું કે મે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે ખોટા હતા, મારે એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇતો ન્હોતો. તેમના કહ્યા બાદ મેં પણ અનુભવ્યુ કે મારા શબ્દો ખોટા હતા, કદાચ મારી અભિવ્યક્તિ ખોટી હોઇ શકે પરંતુ મેં જે ભાવના વ્યક્ત કરી હતી તે ખોટી ન્હોતી.'
ગુરુવારે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીએ રાજ્યભરમાંથી આવેલા કોંગ્રેસના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આની સાથે તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. જોકે આ વાતચીતમાં આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસની રણનીતિ અંગે કોઇ ચર્ચા ના થઇ પરંતુ વટહુકમનો નાટકીયરીતે થયેલી સમાપન વિધિ પર જ ચર્ચા ચાલી. જેના અંગે રાહુલે કહ્યું મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું.