ગાંધીનગર, 13 મે : આજે ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપની કેબિનેટ કમિટીની બેઠક મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો અે પ્રભારીઓની હાજરીમાં મળેલી બેઠકનો મુખ્ય એજન્ડા નરેન્દ્ર મોદીના પીએમ બનવાથી ખાલી પડેલા ગુજરાતના સીએમ પદને ભરવા અંગે છે. સૂત્રોનું કહેવું છે કે નવી સીએમનું નામ રવિવારે કે સોમવારે જાહેર કરાશે.
લોકસભા ચૂંટણી 2014ના એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના નવા વડાપ્રધાન બનશે એ વાત પાક્કી છે. આ કારણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના અનુગામી કોને બનાવવા તેના નામમાં આનંદીબેન પટેલ, નીતિન પટેલ, સૌરભ પટેલ, અમિત શાહ, સ્મૃતિ ઇરાનીના નામની સાથે ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણિયાના નામ મોખરે છે.
ગુજરાત ભાજપ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જે છબી ઉભી કરી છે તેને વધારે સારી રીતે કોણ નિભાવી શકશે અને ગુજરાતનું સંચાલન કરી શકશે તે નક્કી કરવાનો છે.
કહેવામાં આવે છે કે બુધવાર સુધી ચાલનારી કોર કમિટીની બેઠકમાં આજે મંગળવારે ધારાસભ્યો અને નરેન્દ્ર મોદી વચ્ચે નામની ચર્ચા કરવામાં આવશે. બુધવારે ગાંધીનગર આવનારા ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે તારવવામાં આવેલા નામની ચર્ચા કરાશે.
આ ચર્ચા બાદ નક્કી થયેલા નામના વિકલ્પોને સંઘના નેતાઓ અને પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચવામાં આવશે. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ શુક્રવારે 16 મેના રોજ લોકસભા ચૂંટણી 2014નું પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન પદ માટે સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરશે.
આ વિધિ પૂરી થયા બાદ શનિવારે કે રવિવારે રાષ્ટ્રીય નેતાઓ જેમાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહનો પણ સમાવેશ થાય છે તેઓ ગુજરાતમાં આવશે અને નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરશે.
નોંધનીય છે કે ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ નરેન્દ્ર મોદી સંઘના સંચાલકોને મળવા ગયા હતા. આ ઉપરાંત મોદીને મળવા જુદા જુદા રાજ્યો, પક્ષના નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે પી.એ. સંગમા, રમણસિંહ અને નીતિન ગડકરી તેમને મળ્યા હતા. ગુજરાતમાં મોદીની ગેરહાજરીમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવવા સંકલન સમિતિ જેવી કોઈ રચના થાય તેવી પણ શકયતા દર્શાવવામાં આવી રહી છે.