ગુજરાતમાં નરેન્દ્ર મોદી કામ નહીં માર્કેટિંગ સારું કરે છે: અશોક ગેહલોત
અશોક ગેહલોત વધુમાં જણાવ્યું કે,'ગુજરાતની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માત્ર વાતો કરે છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે એવી વાતો કરવામાં આવી કે, ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ આવ્યું, મોટા પ્રમાણમાં વિકાસ થયો પણ મને ગુજરાતમાં ક્યાંય વિકાસ થયો હોય તેવું દેખાતું નથી. ગુજરાતમાં ક્યાંય કરોડોનું રોકાણ થયું હોય તેવું દેખાતું નથી. તો બીજી તરફ કોંગ્રેસ જે વાયદાઓ કરે છે તે પૂરા કરે છે. આજે ભારતની સંસદમાં રિટેલ એફડીઆઇના મુદ્દે યુપીએ સરકારનો જ્વલંત વિજય થયો છે.
સસંદમાં કેન્દ્ર સરકારના થયેલો વિજય એ દર્શાવે છે કે, દેશવાસીઓ ઇચ્છે છે કે, દેશમાં રિટેલમાં એફડીઆઇ આવે. કેન્દ્ર સરકારની ખેડુતો અને ગરીબલક્ષી યોજનાઓને મોદી સરકાર પોતાના નામે ચઢાવીને લોકોને ગુમરાહ કરે છે.મોદી સરકારે વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે કંઇ વિચાર્યું નથી. ભાજપના સરકારના શાસનમાં ગુજરાતમાં બાળકો ગુમ થાય છે.
મહિલાઓનાં અપહરણ થાય છે. છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. ગુજરાતની ગાદી પર કોંગ્રેસને બેસાડો તો દરેક ઘરવિહોણા પરિવારની ગૃહિણીનાં નામે કોંગ્રેસ ઘરનું ઘર આપશે.