હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં આવ્યા શક્તિસિંહ ગોહિલ, કન્હૈયા કુમારે આપ્યું સમર્થન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિકની મુલાકાત લીધી.
હાર્દિક પટેલ છેલ્લા 10 દિવસથી અનિશ્ચિત કાળના અમરણમાંત ઉપવાસ પર બેઠો છે. દિવસેને દિવસે હાર્દિકની તબિયત લથડતી જઈ રહી છે. ઉપવાસના નવમા દિવસે જ હાર્દિકને કિડનીનું ઈન્ફેક્શન થયું હોવના અહેવાલ મળ્યા હતા. છતાં હાર્દિકે ઈલાજ કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને અમરણાંત ઉપવાસ ચાલુ રાખવાનું જણાવ્યું હતું. હવે ઉપવાસના 10મા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણીમાં આવ્યા છે.
હાર્દિકને મળ્યા શક્તિસિંહ ગોહિલ
હાર્દિક પટેલ જેમ-જેમ આંદોલન આગળ ધપાવી રહ્યો છે તેમ-તેમ વિપક્ષી દળ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો હાર્દિકને ટેકો આપતા જઈ રહ્યા છે. સૌથી પહેલા તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. બાદમાં દિલ્હીના ધારાસભ્ય કર્નલ દેવેન્દ્ર સહરાવત, મહારાષ્ટ્રના ધારાસભ્ય અને લોકતાંત્રિક જનતા દળના પ્રદેશ અધ્યક્ષ કપિલ પાટિલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ, પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિતની હસ્તીઓ હાર્દિકને મળવા આવી હતી.
|
ઉમિયા ધામ મંદિર ટ્રસ્ટે સમર્થન આપ્યું
જો કે હવે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણીમાં આવ્યા છે. ટ્વીટ પોસ્ટ કરી હાર્દિકે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહ્યા અને મારું મનોબળ વધાર્યું. ખેડૂતોનું દેવું માફી અને આરક્ષણની માગને ગુજરાતની સૌથી મોટી પટેલ સમાજની સંસ્થા અને કુળદેવી શ્રી ઉમિયા ધામ મંદિરે પણ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે ધીરે-ધીરે રાજ્યના દરેક વ્યક્તિમાં સંપૂર્ણ લોક ક્રાંતિની જ્વાળા પ્રજ્વલ્લિત થશે, ખરાબ તાકાતનો અંત આવશે.
|
કન્હૈયા કુમારે સમર્થન આપ્યું
બીજી બાજુ જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી અધ્યક્ષ કન્હૈયા લાલે પણ ટ્વીટ કરીને હાર્દિક પટેલને સમર્થન આપ્યું. કન્હૈયાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે "હાર્દિકે ભગત સિંહની સાથે ગાંધીના રસ્તે ચાલવાની વાત કરી છે. બદહાલ ખેડૂતો માટે બાબા સાહેબના સામાજિક ન્યાયને લાગુ કરાવવા માટે હાર્દિક 8 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. તબિયત બગડવા છતાં સંઘર્ષ ચાલુ છે કેમ કે આમાં કરોડો યુવાનોનો અવાજ સામેલ છે." આ પણ વાંચો-જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ