ગુજરાત ચૂંટણીઃ પ્રથમ ચરણમાં 1.81 કરોડ મતદારો આપશે મત
ગાંધીનગર, 22 નવેમ્બર: અંદાજે 1.81 કરોડ મતદારો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં મતદાન કરે તેવી આશા છે. વિધાનસભાનું પહેલું ચરણ 13મી ડિસેમ્બરે છે અને તેમાં 87 બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર 13મી ડિસેમ્બરે અમદાવાદના ગ્રામીણ તાલુકા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામા મતદાન થવાનું છે.
પ્રથમ ચરણમાં મત આપનારાઓમાં 95.81 લાખ પુરુષો અને 86.04 લાખ મહિલા મતદારો છે, જે 21,261 મતદાન મથકે મત આપશે. સુરતમાં 32.26 લાખ મતદારો છે અને ત્યાં સૌથી વઘારે 3,770 મતદાન મથકો છે જ્યારે આદિવાસી વિસ્તાર ડાંગમાં 1.44 લાખ મતદારો છે અને ત્યાં સૌથી ઓછા 320 મતદાન મથકો છે.
અંદાજે 23.87 લાખ મતદાનો રાજકોટ જિલ્લામાં 11 ધારાસભ્યોનું ભવિષ્ય નક્કી કરશ તેવી આશા છે. જ્યાં 2,589 મતદાન મથકો છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, જૂનાગઢમાં 2,182, ભાવનગરમાં 2.082, જાનગરમાં 1,617, સુરેન્દ્રનગરમાં 1,283, અમરેલી 1,270 અને પોરબંદરમાં 423 મતદાન મથકો છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે આદિવાસી સમુદાય આવેલો છે. વલસાડમાં 1,255, ભરૂચમાં 1,224, નવસારીમાં 1,087, નર્મદામાં 560 અને તાપીમા 559 મતદાન મથકો છે. અમદાવાદ જિલ્લામાંથી ચાર ધારાસભ્યોનું ભાવી મતદારો નક્કી કરશે, પ્રથમ ચરણનું મતદાન અમદાવાદ જિલ્લામાં વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધૂકામાં થશે. અમદાવાદ જિલ્લામાં 1,040 મતદાન મથકો પર 8.66 લાખ મતદારો મતદાન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો ગઢ ધરાશય કરવાની આશા વ્યક્ત કરી રહેલી કોંગ્રેસે પોતાના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી પરંત તેને 2 કલાકમાં જ પરત લેવામાં આવી હતી.