NID અમદાવાદ 'રાષ્ટ્રીય મહત્વ' ધરાવતી શૈક્ષણિક સંસ્થા બની
નવી દિલ્હી, 8 જુલાઇ : અમદાવાદની પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટમાં ગણાતી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઇડી - NID)ને ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળશે. આમ થવાથી હવે પોતાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપી શકશે. આ પહેલા અત્યાર સુધી એનઆઇડીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિપ્લોમા આપવામાં આવતા હતા.
રાજ્યસભામાં સોમવાર 7 જુલાઇ, 2014ના રોજ આ અંગેના એક ખરડાને વિનાવિરોધ મંજૂરી આપી દેવામાં છે. હવે આ ખરડાને લોકસભામાં તેની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ ખરડા માટે શાસક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ, બંને વચ્ચે સહમતિ હોવાથી ખરડો લોકસભામાં પણ સત્વરે પાસ થઈ જવાની ધારણા છે.
આ ખરડો પાસ થઈ ગયા બાદ એવા વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ પોસ્ટ-ગ્રેજ્યુએશનમાં આગળ વધવા માગે છે અને ડિઝાઈન એજ્યૂકેશનમાં ગુણવત્તા અને પ્રતિભાની દ્રષ્ટિએ ઈન્સ્ટિટ્યૂટને પ્રમોટ કરવા માગે છે.
ખરડાને પાસ કરાવવાના સંબંધમાં હાલ દિલ્હી ગયેલા એનઆઈડી, અમદાવાદના ડિરેક્ટર પ્રદ્યુમન વ્યાસે રાજ્ય સભા દ્વારા ખરડાને મંજૂરી અપાઈ તે બદલ ખુશી વ્યક્ત કરી છે.
ખરડો સંસદમાં પાસ થઈ ગયા બાદ એનઆઈડીને કાનૂની દરજ્જો મળશે અને તે કોર્પોરેટ સંસ્થા બનશે. એનઆઈડી તેના વિદ્યાર્થીઓને બેચલર ઓફ ડિઝાઈન, માસ્ટર ઓફ ડિઝાઈન ડિગ્રી અને પીએચડી આપી શકશે જે તેમના ભવિષ્ય માટે લાભદાયી નીવડશે. એનઆઈડી, અમદાવાદના બે સેટેલાઈટ કેમ્પસ છે. જેમાંથી એક ગાંધીનગરમાં અને બીજું બેંગલોરમાં આવેલું છે.