બાંગ્લાદેશ બાદ સાબરમતી સુરંગકાંડમાં પાકિસ્તાનની પણ સંડોવણી
આ સમગ્ર ષડયંત્ર રચવામાં મુખ્ય ભેજાબાજ ભારતમાં ઇન્ડિયન મુઝાહીદ્દીન સંગઠનનાં ફાઉન્ડર અને 2001માં કોલકતામાં અમેરિકી દુતાવાસ પર હુમલો કરી પાકિસ્તાન નાસી છુટેલા આતંકવાદી અમિર રઝા ખાન હોવાનું બહાર આવી રહ્યું છે. અમીર રઝા ખાન સુરંગમાંથી ભગાડ્યા બાદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી યાસીન ભટકલને ગુજરાતમાંથી બાંગ્લાદેશ ભગાડી જઇ ત્યાંથી પાકિસ્તાન મોકલવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચની ઓફિસમાં રાખવામાં આવેલા સુરંગકાંડના પાંચ આતંકવાદીઓની પુછપરછમાં દરમિયાન આ ઘટસ્ફોટ થયો છે. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2001માં કોલકતામાં અમેરિકી દૂતાવાસ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પાછળ આઇ.એમ (ઇન્ડિયન મુઝાહીદ્દીન)નાં ફાઉન્ડર અમીર રઝા ખાન તથા આફતાબ અંસારી અને શાહિદ શેખના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ શાહિદ શેખ અને આફતાબ અંસારીને પકડી પાડયા હતા, જ્યારે મૂખ્ય સૂત્રધાર અમીર રઝા ખાન પાકિસ્તાન નાસી છુટયો હતો.
અમીર રઝા ખાન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇનો પણ એજન્ટ છે. આથી તેને પાકિસ્તાનમાં અન્ય આતંકી સંગઠનોની મદદ મળતા તે ત્યાંજ સ્થાયી થયો છે. પાકિસ્તાનમાં જ રહીને તે 'ભટકલ' બંધુઓની મદદથી તે ભારતમાં સતત આતંકી હુમલાના ષડયંત્ર રચતો રહ્યો હતો. યાસીન ભટકલ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં હોવાની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી. દરમિયાન સુરંગકાંડનો પર્દાફાશ થતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.
અમદાવાદ ક્રાઇમબ્રાંચ સુરંગ કાંડના આતંકીઓની પુછપરછ કરી રહી છે. હાલમાં જ થયેલી 14 પૈકીના પાંચ આતંકવાદીઓની તપાસમાં આ મહત્વની વિગતો બહાર આવી હતી. સુરંગકાંડના આરોપીઓએ જ કબુલ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા અમીર રઝા ખાનના ઇશારે યાસીન ભટકલ ગુજરાતમાં આવ્યો છે અને તે જ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકીઓને સુરંગમાંથી જેલ તોડીને ભાગ્યા બાદ પહેલા દક્ષિણ ભારતના જંગલો અને ત્યાંથી કોલકતા લઇ જવાનો હતો. કલકતા પહોંચ્યા બાદ જંગલના રસ્તે બાંગ્લાદેશ પહોંચવાનો પ્લાન હતો. જ્યાંથી બોગસ પાસપોર્ટ બનાવી ઢાકાથી પાકિસ્તાન નાસી છુટવાનું ષડયંત્ર રચાયું હતુ.