નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ સાથે ગુજરાત આવશે
અમદાવાદ, 5 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પોતાનો જન્મ દિવસ માતા હીરા બાના આશીર્વાદ લઇને ઉજવે છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મોટા ભાગે દિલ્હી અને અન્યત્ર પ્રવાસમાં વ્યસ્ત રહે છે. જોકે તેઓ આ વર્ષે પણ પોતાના જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવાનો સિલસિલો જાળવી રાખે તેવી શક્યતા છે. જો કે આ વર્ષે તેઓ ગુજરાત આવતા સમયે પોતાની સાથે ચીનના રાષ્ટ્રપતિને પણ સાથે લાવશે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી ઝિંગપિંગ સપ્ટેમ્બરના મધ્યમાં ભારતની મુલાકાત લેવાના છે ત્યારે તેઓ એક દિવસ માટે ગુજરાતની મુલાકાત લેશે તેવી સંભાવના છે. પ્રોટોકોલ અનુસાર આ મુલાકાત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લેશે.
આ અંગે ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગ સાથે 17 સપ્ટેમ્બરએ પોતાના 64મા જન્મદિવસે ગુજરાત આવશે. આ તારીખ એટલા માટે પણ મહત્વની છે કારણ કે 16 સપ્ટેમ્બરે પેટા ચૂંટણીઓના પરિણામ છે. ગુજરાતમાં કુલ 10 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.
ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે ચીનના પ્રોટોકોલ અધિકારીઓએ ગુરુવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. તેમણે ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગની ગુજરાત મુલાકાતના સંદર્ભમાં મુખ્યસચિવ વરેશ સિંહા સાથે ચર્ચા કરી હતી.
ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિંગપિંગ પોતાની ગુજરાત મુલાકાતમાં અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેવા ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે મુંદ્રા પોર્ટમાં અનેક ચાઇનીઝ કારીગરો કામ કરે છે. અલબત્ત નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી આ સંદર્ભમાં કોઇ સત્તાવાર વાતચીત થઇ નથી.
અધિકારીઓનું કહેવું છે કે 'જો નરેન્દ્ર મોદી જિંગપિંગની સાથે મુલાકાત લઇ શકશે નહીં તો ગુજરાતના કેબિનેટ પ્રધાનો તેમની સાથે કંપની આપશે.' રાષ્ટ્રપતિ જિંગપિંગ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ આવનારી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015માં ભાગ લેવા અંગે પણ ચર્ચા કરશે.