ડાકોર મંદિરમાં નાસભાગ મચતાં એકનું મોત, 3 ઘાયલ
ગાંધીનગર, 27 માર્ચ: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શનાર્થે પદયાત્રા કરી આવી રહ્યાં છે. હોળી પર્વ ટાણે મંગળવારે સવારે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યે રેલીંગ તૂટી પડતાં નાસભાગ મચી હતી જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. જ્યારે ત્રણ શ્રદ્ધાળુઓને ગૂંગળામણ થતાં પ્રાથમિક તબક્કે ડાકોરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુબજ આજે ગઇકાલે ફાગણી પૂનમે ડાકોરના મંદિરમાં રણછોડરાયનાં દર્શન માટે ગત રોજથી મોટી ભીડ દેખાઈ રહી હતી. રણછોડરાયજીના મંદિરમાં સવારે પાંચ વાગ્યે કરવામાં આવતી આરતીમાં ભાગ લેવા રાતથી જ ભક્તોની ભીડ જામી ગઇ હતી.
આજે સવારે પ-૦૦ વાગ્યે જ્યારે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં કે તુરત જ મંદિરમાં પ્રવેશવા માટે શ્રદ્ધાળુઓએ ભારે ધક્કામુક્કી કરતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મંદિરના પરિસરમાં જ મોત થયું હતું અને અન્ય બે શ્રદ્ધાળુઓને ગૂંગળામણના કારણે ગંભીર અસર થતાં બંનેને ડાકોરની હોસ્પિટલમાં અને ત્યારબાદ બપોરે એક વ્યક્તિની તબિયત વધારે બગડતાં તેને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ સંદર્ભે ડાકોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
દુર્ઘટના બાદ ભક્તો માટે મંદિરમાં દર્શનનો સમય વધારાવવામાં આવ્યો હતો. બપોરે ૧.૩૦ ની જગ્યાએ ર.૩૦ વાગ્યે દર્શન બંધ કરાયા હતા. રાતે ૮.૩૦ ની જગ્યાએ ૯.૩૦ વાગ્યે મંદિર બંધ કરાયું હતું. પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. આજે વહેલી સવારે ધક્કામુક્કીની દુર્ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હશે. જેથી જો આ સીસીટીવી ફુટેજની ચકાસણી કરાશે તો સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 18 વર્ષ પહેલાં ડાકોર મંદિરના પટાંગણમાં ધુળેટીની પૂનમે ભાગદોડ થઈ હતી .જેમાં અમદાવાદના 6 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.