વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ ફાઇનલ
વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ વિપક્ષના નેતા પસંદ કરવાના મામલે ખાસો સમય લઇ રહી હતી અને આ રેસમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ હતું. અશોક ગેહલોતે વિપક્ષ નેતા તરીકે અમરેલીના પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યું
વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ વિપક્ષના નેતા પસંદ કરવાના મામલે ખાસો સમય લઇ રહી હતી અને આ રેસમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ હતું. કોંગ્રેસના ધારાસભ્યોની નેતા પસંદગીની બેઠક 2 દિવસ ચાલી હતી, જે પછી 5 જાન્યુઆરીના રોજ પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા દિલ્હી ગયા હતા અને એ પછી અશોક ગેહલોતે વિપક્ષ નેતા તરીકે અમરેલી બેઠકથી પરથી ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યું હતું. કહેવાઇ રહ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પરેશ ધાનાણીના નામનું સમર્થન કર્યું હતું.
દિગ્ગજ નેતાઓની હાર બાદ ચર્ચામાં પરેશ ધાનાણી
41 વર્ષીય પરેશ ધાનાણી એક ખેડૂત અને સમાજિક કાર્યકર્તા પણ છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમ કર્યું છે. પાટીદાર સમાજના પરેશ ધાનાણી અમરેલી સિવાય પાટીદાર વસતી ધરાવતા વિસ્તારોમાં પણ વર્ચસ્વ ધરાવે છે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજોને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજો હારી જતાં વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ ચર્ચાઇ રહ્યું હતું.
રાહુલ ગાંધીએ મારી મહોર
શનિવારે રાહુલ ગાંધીની સંમતિ મળ્યા બાદ આખરે ગુજરાત કોંગ્રેસે પરેશ ધાનાણીના નામ પર મહોર મારી હતી. અશોક ગેહલોતે કહ્યું હતું કે, પરેશ ધાનાણી પાર્ટીના એક સમર્પિત કાર્યકર્તા હોવાની સાથે અનુભવી ધારાસભ્ય પણ છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, પરેશ ધાનાણી બે વાર કોંગ્રેસના સચિવ પદ પર પણ રહી ચૂક્યા છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આશા રાખીએ કે તેઓ તમામ ધારાસભ્યોને સાથે રાખીને ચાલશે અને વિધાનસભામાં પાર્ટીને મજબૂત બનાવશે.
કુંવરજીભાઇ બાવળિયાએ આપત્તિ વ્યક્ત કરી હતી
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી માટે 3 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવી હતી. કુંવરજીભાઇ બાવળિયાએ એ સમયે આપત્તિ જાહેર કરી હતી, તેમનું કહેવું હતું કે, સિનિયોરિટીના હિસાબે તેમને વિપક્ષના નેતા બનાવવા જોઇએ. વિપક્ષ નેતાની પસંદગી મામલે કોંગ્રેસના કાર્યાલયમાં બેઠક મળી હતી અને અંતે નામ ફાઇનલ કરવાની જવાબદારી રાહુલ ગાંધીને સોંપવામાં આવી હતી. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી એ પહેલાં અશોક ગહેલોતે વિપક્ષના નેતાની પસંદગી અંગેનો રિપોર્ટ રાહુલ ગાંધીને સોંપ્યો હતો.
હિમાચલના વિપક્ષ નેતા
આ પહેલાં શુક્રવારે હિમાચલ પ્રદેશમાં હરોલીના ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રીને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલાં હર્ષવર્ધન ચૌહાણનું નામ પણ આ પદ માટે સામે આવી રહ્યું હતું. પરંતુ આખરે કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે પત્રકારિતાથી રાજકારણમાં આવેલ અને વીરભદ્ર સિંહ સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલ મુકેશ અગ્નિહોત્રીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.