ખોડલધામ ખાતે પાટીદાર શહીદયાત્રાનું સમાપન, ઓગસ્ટમાં ફરીથી આંદોલનનો હુંકાર
રાજ્યમાં પાટીદાર આંદોલન રાજ્ય સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. સરકારને પાટીદાર આંદોલનકારીઓ એક યા બીજી રીતે પોતાની માંગણી બુલંદ રીતે વ્યક્ત કરતાં રહ્યા છે. ત્
રાજ્યમાં પાટીદાર આંદોલન રાજ્ય સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. સરકારને પાટીદાર આંદોલનકારીઓ એક યા બીજી રીતે પોતાની માંગણી બુલંદ રીતે વ્યક્ત કરતાં રહ્યા છે. ત્યારે, તાજેતરમાં પાટીદારોના ગઢ સમાન ઉત્તર ગુજરાતના મહેસાણાના ઉંજા પંથકના સુપ્રસિધ્ધ ઉમિયાધામ ખાતેથી એક મહિના અગાઉ પાટીદાર શહીદયાત્રા શરૂ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનકારી દિલિપ સાબવાની આગેવાનીમાં શરૂ થયેલી આ પાટીદાર શહીદ યાત્રા 5600 કિલોમીટર રૂટ પૂર્ણ કરી ખોડલધામ ખાતે આ શહીદયાત્રાનું સમાપન કરાયું હતું. આ તકે હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. તેમજ આગામી ઓગષ્ટ મહિનામાં નવા જોમ, જુસ્સા અને રણનીતિ સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવાનો હુંકાર કર્યો હતો. પાટીદાર શહીદ યાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિત પાટીદારોએ ખોડલધામના દર્શન કરીને ઓગસ્ટમાં નવા આંદોલન માટે તૈયાર રહેવાની અહાલેક પણ કરી હતી.
જુન મહિનામાં શરૂ થઇ હતી પાટીદાર શહીદ યાત્રા
તાજેતરમાં 24મી જુનના રોજ શરૂ થયેલી પાટીદાર આંદોલન યાત્રા કડવા પાટીદાર સમાજની આસ્થાના પ્રતીક સમાન ઉંઝા ઉમિયાધામ ખાતેથી પાટીદાર શહીદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં માં ઉમા-ખોડલ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અનામત આંદોલનમાં શહીદ થનાર 14 પાટીદાર યુવાનોની પ્રતિમા સાથેનો રથ તૈયાર કરાયો હતો. રાજ્યના ઉત્તરથી સૌરાષ્ટ્રને જોડતા અનેક વિસ્તારોમાં પરિભ્રમણ કર્યા બાદ આ રથ આખરે ખોડલધામ કાગવડ ખાતે પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ રથ ગુજરાતભરમાં ધર્મ, પ્રેરણા અને વંદનાનો સંદેશો લઈ 36 દિવસમાં 5600 કિલોમીટર ફર્યો હતો. પાસ કન્વીનર દિલીપ સાબવાની રાહબરી હેઠળ શરૂ થયેલી આ શહીદયાત્રાનું રવિવારે લેઉઆ પટેલસમાજની આસ્થાના પ્રતિક ખોડલધામ ખાતે સમાપન કરાયું હતું. પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 જેટલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને પાટીદાર આંદોલનને ફરીથી વેગ આપવા માટે આ શહીદ યાત્રા શરૂ કરવામાં આવી હતી.
ઓગસ્ટમાં ફરીથી આંદોલનની અહાલેક
પાટીદાર શહીદ યાત્રાના સંયોજક દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારોને રસ ઉડી ગયો છે. પરંતુ શહીદયાત્રા દરમિયાન અનેક ગામો તેમજ 100 જેટલા મોટા શહેરોમાંથી પસાર થયા હતા. ત્યારે મોટી સંખ્યામાં યુવાનો, માતાઓ, બહેનો, અને વૃધ્ધો જોડાયા હતા. દરેકે શહીદયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જેને લઈને અમારા ઉત્સાહમાં વધારો થયો છે. ઓગષ્ટ મહિનો ‘ઓગષ્ટ ક્રાંતિ' તરીકે ઓળખાય છે. તેમાં અમો ફરી અનામતનું રણશિંગુ ફૂંકશું અને નવી રણનીતિ સાથે ફરી આંદોલન ચલાવી અનામત મેળવીને જ ઝંપશું. આગામી ઓગસ્ટ માસમાં ફરીથી આક્રમક આંદોલન શરૂ કરવા અંગે પણ જણાવ્યું હતું.
14 પાટીદાર શહીદોને અર્પિ શ્રદ્ધાંજલિ
ઉમીયાધામ અને ખોડલધામ બંન્ને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાણ કરતી આ શહીદ યાત્રામાં અસંખ્ય પાટીદારો શહીદયાત્રામાં સામેલ રહ્યા હતા. પાટીદાર યુવાનો અને આગેવાનોએ પાટીદાર શહીદ યાત્રાને સંબોધી હતી. પાટીદાર સમાજના આગેવાનોનો પૂરતો ટેકો હોવાનું પણ તેમણે કહ્યું હતું. જ્યારે હાર્દિક પટેલના આગામી ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવતા આ હાર્દિકનો વ્યક્તિગત નિર્ણય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સમાપન સમારોહમાં હાજર રહેલ શહીદોના પરિવારનું સન્માન કરાયું હતું. ત્યારબાદ આ રથમાં બિરાજમાન માઁ ઉમા-ખોડલની આરતી ઉતારી, 14 શહીદ પાટીદારોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. અને અંતમાં રાષ્ટ્રગીત ગાઈને શહીદયાત્રાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન પાટીદારોને અનાામતની માંગ દોહરાવવામાં આવી હતી.
હાર્દિક પટેલની શહીદ યાત્રામાં ગેરહાજરી
ખાસ કરીને પાટીદાર શહીદ યાત્રા એક મહિના કરતાં વધુ સમય લાંબી ચાલી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ જાહેર સભાઓ અને શહીદ યાત્રાના સ્વાગત કરવામાં આવ્યા હતા. પરંતું. પાટીદાર અનામત આંદોલન કન્વિનર હાર્દિક પટેલ ખાસ દિલચસ્પી દાખવી નથી. હાર્દિકની ગેરહાજરી પાટીદાર યુવાનોમાં પણ ચર્ચાનો મુદ્દો રહી હતી. ક્યાંક, સહાનુભૂતિ કે પાટીદાર ક્રેજને હાર્દિકથી દુર કરવા આ રણનીતિ હોય તેવું પણ ક્યાંક જોવા મળ્યું છે. હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી ચુક્યો છે. ત્યારે, હવે કેવા પરિણામ સર્જાય છે તેના પર પાટીદાર આંદોલનનો મદાર રહી શકે છે.