ગુજ. ચૂંટણી પહેલાં PM મોદીએ BJPના કાર્યકર્તાઓને શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના પર્વ નિમિત્તે ટેલિ-કોન્ફરન્સ થકી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કર્યું હતું.
રાજ્યમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, એવામાં દિવાળીના પર્વ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ ટેલિ-કોન્ફરન્સ દ્વારા 23 હજાર ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓના મોબાઇલ પર તેમની સાથે ઓડિયો બ્રિજ ટેક્નોલોજી થકી સંપર્ક કર્યો હતો. તેમણે સૌ કાર્યકર્તાઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કેટલાક પડકારો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ભાજપ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વિકાસ મુખ્ય મુદ્દો
આ ટેલિ-કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, ગુજરાતમાં 22 વર્ષ સુધી ભાજપની સરકારમાં જે વિકાસની નીતિ અપનાવવામાં આવી, એને કારણે જ આજે રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં વિકાસ એ મુખ્ય મુદ્દો બન્યો છે. ગુજરાતના લોકો આ પ્રગતિશીલ અને વિકાસલક્ષી નીતિને કારણે જ ભાજપ સાથે મનથી જોડાયેલા છે. વિપક્ષ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષના નકારાત્મક રાજકારણમાં જનતાના વિકાસ અને કલ્યાણલક્ષી કાર્યોને કોઇ સ્થાન નથી. ગુજરાતના લોકોએ ભાજપ પર વારંવાર વિશ્વાસ મુક્યો છે, કારણ કે તેઓ પણ જાણે છે કે સત્ય શું છે.
વારાણસીના કાર્યકર્તાઓનું પણ કર્યું સંબોધન
આ ઉપરાંત પીએમ મોદીએ પોતાની વિધાનસભા બેઠક વારાણસીમાં પણ લગભગ 2000 પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ટેલિ-કોન્ફરન્સ થકી જ વાત કરી હતી. તેમણે અહીં કહ્યું કે, વારાણસીના વિકાસમાં તેમનો ફાળો મહત્વપૂર્ણ છે. નાના ગામ કે શહેરમાંથી આવતા ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાઓને કેન્દ્ર સરકારે નવી તકો પૂરી પાડી છે.