પીએમ મોદીએ ૧૨૭૫ કરોડના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતેથી ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જણાવ્યું કે, સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતેથી ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જણાવ્યું કે, સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે. જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ અને બાળકોને મળે છે. સંસાધનો સાથે સંવેદના જોડાતા સંસાધનો સેવાનું ઉત્તમ માધ્યમ બને છે. વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે ક્ષેત્રો એવા છે જે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને પણ સુરક્ષિત કરવાનું સમાર્થ્ય ધરાવે છે.

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં વિવિધ આરોગ્ય પ્રકલ્પોને ખુલ્લા મુકતા વડાપ્રધાને જણાવ્યું કે, અમદાવાદ-ગુજરાતમાં વિશ્વની સૌથી એડવાન્સ મેડિકલ ફેસિલીટી ઘરાવતી મેડિસીટી કાર્યાન્વિત થતા અમદાવાદ આજે મેડિકલ ટુરિઝમનું હબ બન્યું છે. મેડિસિટી માત્ર આરોગ્યની એક સંસ્થા જ નહીં પરંતુ ગુજરાતના સામર્થ્યનું પ્રતિક છે.
વડાપ્રધાને ૮૫૦ બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
વડાપ્રધાને રાજ્ય સરકારના વન ગુજરાત-વન ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર ૨૨ ડે કેર કિમોથેરાપી સેન્ટરનો આરંભ કરાવ્યો અને નવિન ૧૮૮ ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યમાં કુલ ૨૭૦ નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આજથી ૨૦ વર્ષ પહેલાં રાજ્યની વ્યવસ્થાઓને અનેક બીમારીઓએ જકડી રાખી હતી. આરોગ્ય ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ, શિક્ષણની વ્યવસ્થાઓમાં અભાવ, વીજળીમાં અવરોધ, પાણીની તંગી, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી અને સૌથી વિશેષ વોટ બેંકના રાજકારણે ગુજરાતના વિકાસને અવરોધી રાખ્યો હતો. પરંતુ અમે આરોગ્ય સુવિધાઓની સાથે સાથે, સમાજ વ્યવસ્થાના સુધારથી ગુજરાતને વિકાસના પંથે લઇ જવા તબીબોની જેમ જ સારસંભાળનો અભિગમ અપનાવીને કાર્ય કર્યું.
તેમણે કહ્યું કે, સર્જરી દ્વારા જુની સરકારી વ્યવસ્થાઓમાં સમૂળગું પરિવર્તન, દવાઓ સ્વરૂપે નવી વ્યવસ્થાઓ ઉભી કરવાના નિત્યનવા પ્રયાસો અને સારસંભાળ સ્વરૂપે લોકોની તકલીફો-પીડાઓ દૂર કરવા સંવેદનશીલતા અને પારદર્શિતાથી કામ કર્યું. આ યજ્ઞથી ગુજરાત આજે સુખ સુવિધાઓમાં અગ્રેસર બન્યું છે.
વડાપ્રધાને વન અર્થ, વન હેલ્થ મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ અભિગમથી કામ કરીશું તો જ વિશ્વમાં સુખાકારી વધશે. કોરોનાના સમયમાં કેટલાય દેશોમાં વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો ન હતો ત્યારે આ અભિગમથી જ આપણે દુનિયામાં અનેક દેશોમાં જ્યાં જરૂર હતી ત્યાં સ્વદેશી વેક્સિન પહોંચાડી હતી. કોરોના સામેની લડતમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે બહુઆયામી પ્રયાસો ભારતે હાથ ધર્યા હતા.
રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષમાં ઉભી કરાયેલી સુવિધાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, ૨૦ વર્ષ પહેલા રાજ્યમાં માત્ર ૯ મેડિકલ કૉલેજ હતી આજે ૩૬ મેડિકલ કૉલેજ કાર્યરત બની છે. જેમાં અગાઉ યુ.જી,પી.જીની ૨૨૦૦ બેઠકો હતી જે પણ વધીને આજે ૮૫૦૦ થઇ છે.
ગુજરાતમાં જે કાર્યસંસ્કૃતિ વિકસાવી તેની રાહ પર સમગ્ર દેશમાં પણ વિકાસ કાર્યો હાથ ધર્યા તેના પરિણામે ૮ વર્ષમાં દેશમાં નવી ૨૨ એઇમ્સની શરૂઆત કરી છે. જેમાંથી ગુજરાતના રાજકોટમાં પણ એક એઇમ્સ કાર્યરત બની છે. સાથે સાથે સરકારી હોસ્પિલમાં જે-તે સમયે ૧૫૦૦૦ બેડ હતાં જે આજે વધીને ૬૦ હજાર થયા છે. એટલું જ નહીં. પી.એચ.સી., સી.એચ.સી. અને વેલનેસ સેન્ટરનું સુદ્રઢ નેટવર્ક ગુજરાતમાં તૈયાર થયું છે.
ગુજરાત આવનારા સમયમાં મેડિકલ, ફાર્મા, બાયોટેક રીસર્ચ ક્ષેત્રે સમગ્ર દુનિયામાં પરચમ લહેરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો અને ૨૨ ડે કેર કિમો થેરાપી સેન્ટર કાર્યરત બન્યા છે જે લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. દેશના દરેક જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.












Click it and Unblock the Notifications
