અમદાવાદ:ઇઝરાયલના PM સાથે 14 કિમી લાંબો રોડ શો કરશે PM મોદી
પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ અમદાવાદમાં કરશે 14 કિમી લાંબો રોડ શો બંને નેતાઓના આગમનની તૈયારી રૂપે કડક સુરક્ષા વ્યવસ્થા આ અંગે વધુ વાંચો અહીં...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો 'રોડ-શો' બુધવારે અમદાવાદમાં યોજાશે. અમદાવાદ એરપોર્ટથી શરૂ કરીને ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી પરત એરપોર્ટ સુધી 14 કિલોમીટરના રોડ-શોમાં સુરક્ષા માટે ઈઝરાયલી 'સ્નાઈપર' પણ ગોઠવવામાં આવ્યા છે. બંને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બંને નેતાઓ પહેલી વખત મોટો રોડ-શો યોજવાના છે, જેમાં 50,000 લોકો ઉપસ્થિત રહેશે. રોડ શોને પગલે એરપોર્ટથી શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ, ડફનાળાથી રિવરફ્રન્ટ, સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધીના રૂટ આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. ચેતક કમાન્ડો, QRT, SRP, પોલીસ અને BDDS (બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ)ની 12 ટીમોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાબરમતી નદીમાં સ્પેશિયલ સ્કવોડ ખડે પગે હાજર રહેશે.
રોડ શોમાં બંને છેડે અમદાવાદના 35 હજાર ઉપરાંત બહારના 15 હજાર, એમ કુલ 50 હજાર લોકોને પ્રવેશ આપવા માટે 20 ગેટ બનાવવામાં આવશે. તમામ લોકોને ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી એન્ટ્રી આપવામાં આવશે. બંને મહાનુભાવો ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. નદીમાં સ્પેશિયલ સ્કવોડ સ્પીડ બોટમાં પેટ્રોલિંગ કરશે. જયારે આશ્રમ સામે રિવરફ્રન્ટના પૂર્વ છેડે 'સ્નાઈપર' સહિતની ખાસ ટીમો ખડે પગે હાજર રહેશે. રોડ-શોના રૂટ ઉપર અનેક જગ્યાએ ઈઝરાયલ અને ચેતક કમાન્ડો ફોર્સના 'સ્નાઈપર' તહેનાત કરવામાં આવશે. બન્ને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની સુરક્ષા માટે ઈઝરાયલની સુરક્ષા ટુકડી સાથે મળીને અમદાવાદ શહેર પોલીસે સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
આ પ્રમાણે રહેશે ટ્રાફિક વ્યવસ્થા
એરપોર્ટ જવા માટે કાલે સવારે 7 થી 12 સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, મહાનુભવો બુધવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે, બપોરે 12 વાગ્યે જશે. એરપોર્ટ અને ગાંધીનગર જવા માટે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી લોકો રિવરફ્રન્ટના બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે એની ટ્રાફિક પોલીસે અપીલ કરી છે. રિવરફ્રન્ટના પૂર્વ રોડનો ઉપયોગ ન કરતાં એસ.જી. હાઈવે, 132 ફૂટ રોડ, એસ.પી. રીંગ રોડ કે નારોલ-નરોડા રોડનો ઉપયોગ કરવો. કોર્ટ વિસ્તારમાંથી એરપોર્ટ જવા અકીલા મેમ્કો ચાર રસ્તા, ગેલેક્સી અંડરબ્રિજથી નોબલનગરથી ઈન્દિરા બ્રિજ સર્કલથી તેમજ પશ્ચિમ વિસ્તારમાંથી એપોલો સર્કલ, ઈન્દિરા બ્રિજથી જવું.