સુરક્ષા કારણોથી નરેન્દ્ર મોદીના માતા હિરાબા નવા બંગલામાં રહેવા જશે
ગાંધીનગર, 3 જુલાઇ : ગુજરાતના પાટનગરમાં થોડા સમય માટે ત્યારે ખલબલી મચી જવા પામી હતી, જ્યારે સુરક્ષા કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાને સેક્ટર 22માં આવેલા તેમના નિવાસ સ્થાનેથી અન્ય સુરક્ષિત સ્થાને ખસેડવાની વાત આવી હતી.
આ સમાચાર બુધવારે હિરા બા તેમના સૌથી નાના દીકરા પંકજે ગાંધીનગર પાસેના સરગાસણ ગામમાં લીધેલા નવા બંગલામાં ઘડો મુકવાની વિધિ કરવા માટે ગયા હતા. નોંધનીય છે કે 90 વર્ષીય હિરા બા તેમના દીકરા પંકજ મોદી સાથે છેલ્લા 10 વર્ષથી ગાંધીનગરમાં આવેલા સેક્ટર 22માં રહે છે. પંકજ મોદી ગુજરાત સરકારના માહિતી વિભાગમાં કર્મચારી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ સરકારી મકાનમાં તેઓ ઘણા વર્ષોથી રહે છે.
હિરા બા ફરી ચર્ચામાં આવવાનું કારણ તેમની સુરક્ષા અંગે ફેસબુક પર ચાલી રહેલી ચર્ચા છે. જેના કારણે ઇન્ટેલિજન્સ અધિકારીઓ ઊંચાનીચા થઇ ગયા હતા. જો કે ગાંધીનગરના એસપી શરજ સિંધલે જણાવ્યું છે કે 'હિરા બાને કોઇ પ્રકારનું સુરક્ષા જોખમ નથી. તેઓ અંગત કારણસર નવા બંગલામાં રહેવા જઇ રહ્યા છે.'
પ્રાપ્ત માહિતી અનુસાર હિરા બા હવે ગાંધીનગર નજીક આવેલાં રાયસણ સ્થિત વૃંદાવન બંગલોમાં બંગલા નંબર 15માં રહેવા જવાના છે. આ માટે તેઓ ગયા રવિવારે અષાઢી બીજના શુભ દિવસે કુંભ પણ મૂકી આવ્યા હોવાનું માનવામાં આવે છે.
હવે નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા બાદ હિરાબાની સલામતીને કારણે ખાનગી બંગલો પસંદ કરાયો છે. વૃંદાવન બંગલોમાં મોદી પરિવારે મકાન ખરીદ્યું છે. આગામી દિવસોમાં મોદી પરિવાર હિરાબાને લઇને આ નવા મકાનમાં રહેવા માટે જતું રહેશે. સેક્ટર 22 સ્થિત ઘ ટાઇપનું સરકારી મકાન ખાલી પણ કરી દેવામાં આવશે.