
PM મોદીએ પાવાગઢમાં ધ્વજારોહણ કરી કહ્યુ - 5 સદી બાદ પાવાગઢ પર ધ્વજા લહેરાઈ છે
વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. સવારે સાડા છ વાગે માતા હીરાબાના 100માં જન્મદિવસે તેમના આશીર્વાદ લીધા બાદ તેઓ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનુ લોકાર્પણ કર્યુ છે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ.

પીએમ મોદીએ પુનર્વિકસિત કરાયેલા પાવાગઢનુ લોકાર્પણ કર્યુ
વડોદરામાં પીએમ મોદીએ પુનર્વિકસિત કરાયેલા પાવાગઢનુ લોકાર્પણ કર્યુ. પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ કર્યુ છે. તેમણે વર્ષો બાદ પુનર્વિકસિત કરાયેલા મંદિરને નિહાળ્યુ હતુ. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકાવ્યુ હતુ ત્યારબાદ તેમણે સંતોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યુ. મારુ જીવન ધન્ય થઈ ગયુ. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ સુપ્ત અને લુપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્યા છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.

'યુગ બદલાય છે પરંતુ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે'
પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતીક નથી, સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પરંતુ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતીક છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યા છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. આ અવસર સૌનો સાથ, સૌનો વિકાસ અને પ્રયાસનુ પ્રતીક છે. મને મહાકાળી મંદિરમાં ધજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશીર્વાદ આપે કે હું વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરુ. મારુ જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે તે હુ દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરુ.

'આજે જે ધજા ફરકી છે તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે'
પીએમ મોદીએ જણાવ્યુ કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો આપણે ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના ચેલેન્જિસ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયુ. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતુ. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યુ.