પ્રધાનમંત્રી દીવ તેમજ દમણમાં વિમાની સેવાનો કરાવશે પ્રારંભ
દીવથી શરૂ થનારી વિમાની સેવાના વિમાનમાં હાલમાં 17 સીટો છે તેમજ દીવ થી અમદાવાદનું અંદાજિત ભાડું ૨૦૦૦ રૂપિયા રહેશે.
દીવ અને સોમનાથ આવનારા ટુરિસ્ટ માટે ખુશી ના સમાચાર આવ્યા છે. આગામી શનિવારે એટલે કે ૨૪ ફ્રેબુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી દીવથી અમદાવાદ પ્લેન અને દીવ થી દમણ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરશે. આ સેવાના પ્રારંભ થવાને કારણે સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને દીવથી અમદાવાદ આવતા વેપારીઓને આ નિર્ણય રાહતરૂપ જણાઈ રહ્યો છે. વિમાની સેવા શરૂ થવાને પગલે દીવ. દમણ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓમાં પણ ખુશી છવાઈ છે કારણ કે તેઓ ઓછા સમયમાં પ્રવાસ કરી શકશે. સાથે જ સોમનાથ અને જુનાગઢ તેમજ અમરેલીના લોકો પણ ખુશખુશાલ બન્યા છે.
વિમાની તથા હેલિકોપ્ટર સેવાને કારણે દીવ થી અમદાવાદ જવા હવે સ્થાનિકોએ 8 કલાક બસમાં નહિ બેસવું પડે. માત્ર એક કલાકમાં દીવ થી અમદાવાદ પહોંચી જવાશે.
સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમારે પ્લબરિંગનો ઘણો માલ લેવા માટે વારંવાર અમદાવાદ જવું પડતું હોય છે ત્યારે દોઢ કે બે દિવસનો સમય જાય છે તેમજ થાક પણ લાગે છે ત્યારે વિમાની સેવા શરૂ થવાથી અમે એક જ દિવસમાં આરામથી અમારું કામ પૂર્ણ કરી શકીશું.
ઉલ્લેખનીય છે કે દીવથી શરૂ થનારી વિમાની સેવાના વિમાનમાં હાલમાં 17 સીટો છે તેમજ દીવ થી અમદાવાદનું અંદાજિત ભાડું ૨૦૦૦ રૂપિયા રહેશે.