'કાળની કેડીએ ઘડીકનો સંગ…' કહેનારા કવિ નિરંજન ભગતની વિદાય
જાણીતા કવિ નિરંજન ભગતનું મૃત્યુગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં હૃદયનો હુમલો આવ્યો હતોઆ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર અને કવિ નિરંજન ભગતનું અવસાન થયું છે. તેઓ હૃદયરોગની સમસ્યાને લઈને બે દિવસથી સારવાર હેઠળ હતા. 92 વર્ષની જૈફ વયે તેમના અવસાનથી પરિવારમા શોકમગ્ન બન્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 થી 4 દિવસ અગાઉ જ પહેલાં સાહિત્ય પરિષદની સ્વાયત્તતાને લઈને ચાલતી બેઠકમાં જ તેમને હૃદયનો હુમલો આવ્યો હતો. ત્યારથી તેઓ સારવાર હેઠળ હતા. ગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં સ્વાયત્તતાના મુદ્દે ચર્ચાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. ઉગ્ર ચર્ચા દરમિયાન કવિ નિરંજન ભગતને બ્રેઈન સ્ટોક આવ્યો હતો. જેના કારણે તેમને શહેરની H.C.G હોસ્પિટલ ખસેડવા પડયા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. ગુરૂવારે સાંજે તેમણે પોતાના નિવાસ્સ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને સવારે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં સાહિત્ય પ્રેમી જનતાએ તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
આ સમયે તેમની જ લખેલી કેટલીક પંક્તિઓ યાદ આવે છે...
કાળની કેડીએ ઘડીકનો સંગ,
રે ભાઈ, આપણો ઘડીકનો સંગ.
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અમદાવાદમાં જ થયો હતો જન્મ
કવિ નિરંજન નરહરિલાલ ભગતનો જન્મ અમદાવાદમાં જ 18-5-1926ના રોજ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નંબર એકમાં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા પાલડી ખાતે આવેલી નવચેતન હાઈસ્કૂલમાં થયું હતું. 1944માં તેમણે મેટ્રિક પરીક્ષા પાસ કરી અને અમદાવાદની એલ.ડી આર્ટસ કોલેજમાં બી.એ. કર્યું અને અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં 1950માં એમ.એ. પૂર્ણ કર્યુ. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં જ અધ્યાપક તરીકે કાર્યરત હતા અને સાથે સાથે લેખન કાર્ય તો ચાલું જ હતું. તેમની જાણીતી કૃતિઓમાં 'છંદોલય' સૌથી વધુ જાણીતો કાવ્યસંગ્રહ છે. તેઓ વિશ્વની અનેક ભાષા જાણતા હતા. તેઓ અપરિણીત હતા અને માતાની સાથે રહેતા હતા. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. લૉ સોસાયટી કૉલેજોમાં તેઓ ભણાવતા હતા અને પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. તેમને નર્મદ ચંદ્રક એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.