તીસ્તા અને તેમના પતિ વિરૂદ્ધ પૈસા ચાઉં કરી જવા બદલ કેસ દાખલ
અમદાવાદ, 7 ડિસેમ્બર: સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ, જાકિયા ઝાફરીના પુત્ર તનવીર ઝાફરી તથા બે અન્ય ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે એકઠા કરવામાં આવેલા 1.51 કરોડ રૂપિયાની રકમ ચાઉં કરી જવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય આઇપીસી કલમ 120 (બી), 406 અને 420 હેઠળ અને આઇટી કલમ 72(એ) હેઠળ તીસ્તા, આનંદ, તનવીર તથા અન્ય બે વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં ફેરવવા માટે દાનના રૂપમાં એકઠા કરેલા 1.51 કરોડ રૂપિયાની રાશિ ચાઉં કરી જવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.
ગુલબર્ગ સોસાઇટીના રહેવાસી પાસેથી આરટીઆઇ દ્વારા મળેલી માહિતી અનુસાર રમખાણ પિડીતોને આર્થિક મદદ પુરી પાડવા, નવા મકાનોના પુનર્નિર્માણ અને ગુલબર્ગ સોસાયટીને સંગ્રહાલય બનાવવા માટે દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. એક એકાઉન્ટમાં 63 લાખ અને બીજા ટ્રસ્ટના બીજા એકાઉન્ટમાં 88 લાખ જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે પૈસા લોકોને આપવામાં આવ્યા નથી.
અધિકારીએ જણાવ્યું હતું કે રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ રકમ વર્ષ 2007 થી 2012 વચ્ચે વિદેશમાંથી એકઠી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ગુલબર્ગ સોસાયટીને સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે. આ રકમ તીસ્તાની પાસે ફિક્સ ડિપોઝિટ તરીકે પડી હતી.