જળસમાધી લેવા નીકળેલા કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત
જળસમાધી લેવા નીકળેલા કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત
સુરેન્દ્રનગરઃ ભાજપસાશિત ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્નોને ગાંઠતી ન હોય ઝાલાવડના ત્રણ ધારાસભ્યોએ જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ખાતર, પાક વીમો, કેનાલમાં પાણી ન છોડાતું હોવાના સહિતના મુદ્દે લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયાએ કલેક્ટરને આવેદન આપી કેનાલમાં જ જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરિયા, ચેતનભાઈ ખાચર, સહિતના ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો હતો. જેમાં ધોળીધજા ડેમથી સુરેન્દ્રનગરના ત્રણેય તાલુકા વઢવાણ, લીંબડી અને ચડાથી પસાર થઈને બોટાદ સધી પાણી લઈ જવામાં આવે છે પરંતુ સ્થાનિક ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી. ઉપરાંત પોલીસ પર આરોપ લગાવ્યો કે કેનાલ પર મુકેલા મશીનો પર પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે અને ખોટી રીતે પેટ્રોલિંગ કરીને ખેડૂતોને હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આજે જળસમાધી લેવા નીકળેલા તમામ કોંગ્રેસી ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી લીધી. ધારાસભ્યોએ કહ્યું કે અટકાયત કરી લેવાથી અમારું આંદોલન પૂરું નહિ થઈ જાય, અને જરૂર પડ્યે વિધાનસભા પણ ઘેરશું. સૌની યોજના લાઈન અહિથી નીકળતી હોવા છતાં પાણી નથી આપવામાં આવતું, માત્ર એક વાલ ખોલવાથી જ સુરેન્દ્રનગરના ત્રણેય તાલુકાના ખેડૂતોને રાહત મળી શકે તેમ છે ત્યારે સરકાર ખેડૂતો પ્રત્યે નિર્દયી બની રહી છે. જણાવી દઈએ કે અગાઉ લલીત વસોયાએ પણ જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો- અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે