પોરબંદરમાં 42 ડિગ્રીમાં રસ્તા પરનો ડામર ઓગળ્યો, રાજકોટમાં યલો એલર્ટ
પોરબંદર, સુરત, અમરેલી, ધારી સહિતન શહેરોમાં તાપમાનનો પારો 40ને વટાવી ગયો છે જ્યારે પોરબંદરમાં તો 42 ડિગ્રી સાથે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું.
સૂયદેવ માર્ચ મહિનાથી જ ગુજરાતમાં જાણે કોપદ્રષ્ટી કરી રહ્યા હોય તેમ ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યુ છે અને પોરબંદર, સુરત, અમરેલી, ધારી સહિતન શહેરોમાં તાપમાનનો પારો 40ને વટાવી ગયો છે જ્યારે પોરબંદરમાં તો 42 ડિગ્રી સાથે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું અને 42 ડિગ્રી ગરમીને પરિણામે પોરબંદરમાં રસ્તા પરનો ડામર પણ ઓળગી ગયો હતો. પોરબંદર સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે અને તમામ શહેરોના જનજીવનને અસર થઈ છે.
બે દિવસથી રાજ્યનું સૌથી ગરમ શહેર પોરબંદર રહ્યું છે. કાળઝાળ 43 ડિગ્રીના કારણે પોરબંદરના ડામર રોડ ઓગળવા લાગ્યા છે. બીજી તરફ ભારે ગરમીના પગલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત 43 ડીગ્રી ગરમીમાં ડામર રોડ ઓગળવા લાગતા આશ્ચર્ય સર્જાયું છે અને કામ નબળું થયું હોવાનું તેમજ રોડ રસ્તાના બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડ્યો છે. આ વખતે રોડના કામમાં પ્રથમ વખત ટેન્ડરમાં રોડ બની ગયા પછી ઓઈલ પ્રેનો ફૂવારો મારવાનું નક્કી થયું હોવાથી રોડ ઓગળી રહ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં શેરી-ગલીઓ સહિત મુખ્ય રસ્તાઓને ડામરથી મઢવા માટે નગરપાલિકાના તંત્રએ કરોડો રૂપિયા મંજૂર કર્યા હતા અને તે અંતર્ગત મોટાભાગના રસ્તાઓના નવિનીકરણની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે પરંતુ ચોંકાવનારી માહિતી એવી બહાર આવી છે કે ઉનાળામાં પોરબંદરના નવા બનેલા ડામર રોડ ઓગળી રહ્યા છે ! શહેરના રેલ્વેસ્ટેશન રોડ ઉપર, ઝુરીબાગ તરફ જતા રસ્તે, એસ.વી.પી. રોડ, જૂના ફૂવારાથી નવા ફૂવારા તરફ જતો રસ્તો, બિરલા હોલથી પેરેડાઈઝ ફૂવારા તરફ જતો રસ્તો ઉપરાંત શહેરના અન્ય આંતરીક રસ્તાઓ બનાવાયા છે જેમાં અનેક જગ્યાએ ડામર રોડ ઓગળી રહ્યો હોવાથી અનેક જગ્યાએ ખાડા પડવા લાગ્યા છે અને બપોરના સમયે તેમાંથી ડામરનું લીક્વીડ બહાર આવે છે તેના કારણે વાહનોના ટાયર ચોંટવા લાગે છે. એટલું જ નહીં, પરંતુ લોકોના ચપ્પલ અને બુટમાં પણ ડામર ચોંટી જાય છે. આ ઘટના બાદ પોરબંદરવાસીઓમાં સોશિયલ મીડિયામાં રમૂજભર્યા મેસેજ પણ ફરતા હતા. જ્યારે કેંગ્રેસે ટીકા કરતાં કહ્યું કે, પોરબંદરમાં ઉનાળામાં બરફ ઓગળતાં જોયો છે પણ ડામર ઓગળતાં પહેલીવાર જોયો !
પોરબંદરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પશુ-પક્ષીઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારોમાં પાણી નહીં હોવાને કારણે પક્ષીઓને પાણી માટે પરેશાન થવું પડે છે, જેથી પોરબંદરવાસીઓને પણ ખાસ અપીલ કરીને પક્ષીપ્રેમીઓએ જણાવ્યું છે કે લોકો તેમના ઘરના આંગણામાં પક્ષીઓ પાણી પી શકે તે માટેના કુંડા અવશ્ય રાખે. પક્ષીઓને પીવાના પાણીની સગવડ માટે માટીના કુંડા ઘરઆંગણે રાખી શકાય છે ઉપરાંત તેઓએ એવી પણ અપીલ કરી છે કે, ઘરઆંગણે ગૌમાતા સહિત અન્ય પ્રાણીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કુંજ અને કરકરા જેવા પક્ષીઓ માઈનસ ડીગ્રી તાપમાનમાં રહેવા ટેવાયેલા હોય છે. પરંતુ પોરબંદરના જળપ્લાવિત વિસ્તારો સુકાઈ રહ્યા છે તેથી આવા પક્ષીઓ' વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને 42 થી 43 ડીગ્રી તાપમાનમાં તેઓ અકળાઈ ઉઠયા છે. સાઇબીરીયા તથા યુરોપના અત્યંત ઠંડા પ્રદેશોમાં રહેવા ટેવાયેલા અને માઇનસ ર0 ડીગ્રી તાપમાનમાં પણ ખુશમીજાજમાં રહેતા વિદેશીપંખીઓની દયનીય સ્થિતિ થઈ છે.
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીના કારણે જનજીવનને અસર પહોંચી છે.