1લી માર્ચથી ફેર પ્રાઇઝ શોપ ના વેપારીઓ જાહેર વિતરણ વ્યવસ્થાથી દૂર રહેશે
ગુજરાતમાં આવેલી ફેર પ્રાઇઝ શોપ્સ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વાર રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં આવેલી ફેર પ્રાઇઝ શોપ્સ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વાર રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી હતી કે નવા બારકોડ રેશન કાર્ડની ઓનલાઇન સિસ્ટમનું સોફ્ટવેર ડાઉન લોડ કર્યા બાદ પણ આવી રહેલી મુશ્કેલી કારણે માત્ર વેપારીઓને જ નહી પણ અને રેશનકાર્ડ ધારકો પણ હેરાન થઇ રહ્યા છે અને ઘણીવાર રેશન કાર્ડ ધારકો તેમજ દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બને છે.
આ ઉપરાંત અનેક પડતર માંગણીઓ પણ હતી. જે પુરી ન થતા આજે સોમવારે અમદાવાદ રબારી કોલોની પાસે આવેલા બંસીધર પાર્ટી પ્લોટમાં ફ્રેર પ્રાઇઝ એસોસેશનના પ્રમુખ પ્રહલાદ મોદીની અધ્યક્ષતામાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી અને સરકારની નીતિને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આકરો વિરોધ દર્શાવવાના ભાગરૂપે 1લી માર્ચ 2018થી સમગ્ર ગુજરાતના ફેર પ્રાઇઝ એસોસિએશન તેમજ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના સભ્યો જાહેર વિતરણની વ્યવસ્થાની અળગા રહીને વિરોધ વ્યક્ત કરશે અને જ્યાં સુધી સરકાર તેમની માંગણીને નહી સ્વીકારે ત્યાં સુધી રેશનની ચીજ વસ્તુઓનું જાહેર વિતરણ કરશે નહી.
પ્રહલાદ મોદીએ જણાવ્યું કે બારકોડ સિસ્ટમનું સોફ્ટવેર અનેક ખામી ધરાવે છે અને મોટા ભાગે આ સોફટવેર કામ કરતુ ન હોવાથી રેશન કાર્ડની ચીજ વસ્તુ લેવા માટે આવનાર વ્યક્તિઓ સાથે રેશન કાર્ડની શોપ ધરાવતા વેપારીઓને તરકાર પણ થતી હતી. માટે બારકોડ સોફટવેરનો પ્રશ્ન હલ કરવા માટે અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજુઆત કરવામાં આવી હતી પણ રાજ્ય સરકારે આ બાબતે કોઇ હકારાત્મ પ્રતિભાવ ન આપતા અમે હવે આકરો વિરોધ કરવાનો નક્કી કર્યું છે. જેના ભાગરૂપે અમે હવે 1લી માર્ચથી જાહેર વિતરણની વ્યવસ્થાથી દુર રહેશું.
ઉલ્લેખનીય છે પ્રહલાદ મોદી વ઼ડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ છે અને ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પણ છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી જ પ્રહલાદ મોદી રાજ્ય સરકારની કેટલીક નીતિનો વિરોધ કરતા આવ્યા છે અને તેમણે ખુદ નરેન્દ્ર મોદીની સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. જો કે નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ પણ હજુ આ મામલે નિવેડો ન આવતા ફરીથી તેમણે આંદોલનનું રણસિંગુ ફુક્યું છે.