ગુજરાત-સૂરીનામ વચ્ચે અનેક ક્ષેત્રોમાં આદાન-પ્રદાન માટે વિસ્તૃત વિચાર-વિમર્શ
સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચસ્તરીય બેઠક
સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું કે, ભારત અને સૂરીનામ વચ્ચે ભલે અંતર ઘણું છે, ભલે સાઈઝમાં મોટો તફાવત છે પરંતુ બંને દેશોના અંતર-હૃદયથી હૃદય મળેલા છે. આત્માથી બંને દેશો એક જ છે, એવી અનુભૂતિ મને અહીં આવીને થઈ રહી છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં ગુજરાત અને સૂરીનામ ગણરાજ્ય વચ્ચે ઓઇલ એન્ડ નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને આદાન-પ્રદાન માટે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.
રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સમાધાન છે, જળ વ્યવસ્થાપનનું મોટું ઉદાહરણ છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટેની અનિવાર્યતા છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. સૂરીનામ ગણરાજ્યને આ માટે ભારત તમામ મદદ કરશે. ગુજરાત અને સૂરીનામ ગણરાજ્યના સંબંધોથી બંને દેશોનું કલ્યાણ થશે, બંને દેશોના લોકોને લાભ થશે.
સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ ગુજરાતમાં આવીને સન્માન અને ગૌરવની લાગણી અનુભવતાં કહ્યું કે, અહીંનો દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક મિશનની માફક કામ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત માત્ર ભારતીયોના કલ્યાણ માટે જ નહીં સૂરીનામ જેવા ઘણા દેશો માટેના કલ્યાણ માટે છે. કોરોનાના કપરા સમયમાં ભારતે ખૂબ ઓછા સમયમાં રસી શોધી કાઢી, એટલું જ નહીં અન્ય દેશોને પણ વેક્સિન આપીને કટોકટીના સમયે મદદ કરી છે. આ માટે પણ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
સૂરીનામ ગણરાજ્ય હંમેશા ભારતના સમર્થનમાં રહેશે એમ કહીને રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, ભારત પાસે જ્ઞાન અને શાણપણ બંને છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ શાસન માટે નહીં, સંવાદિતા માટે હોય છે. સમન્વય અને સંવાદથી તેમણે વિશ્વમાં સંવાદિતાના પ્રસાર માટે પ્રયત્નો કર્યા છે. અહિંસા જેના ઇતિહાસમાં છે એવા ભારતના નેતા નરેન્દ્રભાઈ મોદી હવે વૈશ્વિક નેતા છે. અન્ય દેશો પણ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ભારત ભણી મીટ માંડીને બેઠા છે. અન્ય દેશો સરહદો, શક્તિ અને સંઘર્ષમાં સક્રિય છે ત્યારે ભારતે મૂલ્યો અને નૈતિકતાથી ઘણી ઊંચાઈ હાંસલ કરી છે. 'વસુધૈવ કુટુંબકમ્' ની લાગણી સાથે સૂરીનામ ગણરાજ્ય પણ ભારત સાથે પરિવારભાવની લાગણી અનુભવે છે.
સૂરીનામ ગણરાજ્યમાં વ્યાપાર, ઉદ્યોગ અને મૂડીરોકાણના ક્ષેત્રોમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે, એમ કહીને મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, પ્રેમ, વિશ્વાસ અને એકતાથી પરસ્પરનો સહયોગ અને સહકાર વધુ દ્રઢ થશે. તેમણે આ માટે ગુજરાત સાથે એમઓયુ કરવાની ઈચ્છા પણ પ્રદર્શિત કરી હતી.
આવનારા 25 વર્ષોમાં ભારત અને ગુજરાત આઝાદીનો અમૃતકાળ ઉજવશે. અમૃતકાળ દરમિયાન ગુજરાત અને ભારતમાં થનારા વિકાસકામોનો લાભ સૂરીનામને પણ મળે એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, સૂરીનામ ખેતીપ્રધાન દેશ છે. ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે અમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તૈયાર છીએ. તેલ અને પ્રાકૃતિક ગેસના સારકામ અને વિતરણના ક્ષેત્રમાં સૂરીનામમાં વ્યાપાર-ઉદ્યોગની વધુ સંભાવનાઓ છે. ગુજરાતની-ભારતની કંપનીઓ મૂડીરોકાણ માટે આગળ આવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો. પરસ્પરમાં વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સંસ્કૃતિની પરંપરા જાળવતા એકમેકના સહયોગથી આગળ વધીશું એમ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું.