33 હજાર કરોડના નેનો પ્રોજેક્ટનું પરિણામ ક્યાં? : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વલસાડમાં સભાનું સંબોધન કર્યુ હતું. જેમા ફરી તેમણે ભાજપ અને મોદી સરકાર પર કટાક્ષ કર્યા હતાા. આ અંગે વધુ વાંચો અહીં
બુધવારે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એનટીપીસીમાં થયેલ દુર્ઘટના બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રણ દિવસીય ગુજરાત નવસર્જન યાત્રામાં ભંગ પડ્યો હતો. રાહુલ ગાંધી પીડિતોની મુલાકાત કરવા માટે તાત્કાલિક રાયબરેલી જવા ઉપડી ગયા હતા અને તેમની ગેરહાજરીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલત અને અન્ય નેતાઓએ નવસર્જન યાત્રા આગળ વધારી હતી. ગુરૂવારે સાંજે જો કે તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને નાના પોંઢા ખાતે સભા સંબોધી હતી. ત્યાર બાદ શુક્રવારે સવારે પારડી, વલસાડ ખાતેથી નવસર્જન યાત્રા શરૂ કરી હતી અને અહીં જનસભાનું સંબોધન કર્યું હતું.
અહીં રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદીના 33 હજાર કરોડ રૂપિયાના નેનો પ્રોજેક્ટ પર સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારી ત્રણ મુલાકાતો દરમિયાન મેં હજારો કિમીનો પ્રવાસ કર્યો, મને રાજ્યમાં એક પણ નેનો ગાડી જોવા નથી મળી. એ 33 હજાર કરોડ રૂપિયાથી ના કોઇને રોજગાર મળ્યો, ના તો નેનો ગાડી બની. આ છે ગુજરાતની હકીકત. આજે મોદીજી પાસે, ભાજપ પાસે સત્તા છે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં એમની સરકાર છે, પરંતુ ગુજરાતમાં ચૂંટણી કોંગ્રેસ જીતશે, કારણ કે સચ્ચાઇ કોંગ્રેસ પાસે છે. મોદીજી ગમે એટલો દમ લગાડે, એમની પાસે સચ્ચાઇ નથી.
કોંગ્રેસનું મેનિફેસ્ટો
ત્યાર બાદ રાહુલ ગાંધી ધરમપુર ચોકડી વલસાડ ખાતે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ વાડીમાં સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ અહીં લોકોને બાંહેધરી આપી હતી કે, કોંગ્રેસનું ચૂંટણીનું મેનિફેસ્ટો લોકો સાથે વાત કરીને બનાવવામાં આવશે અને એમાં સામાન્ય જનતાને પડતી તકલીફોને અવાજ આપવામાં આવશે.