જૂઠ્ઠાણું સાંભળી સાંભળીને વિકાસ ગાંડો થઇ ગયો છે: રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ તેમની નવસર્જન યાત્રા દરમિયાન કહ્યું કે જુઠ્ઠાણું સાંભળીને વિકાસ ગાંડો થઇ ગયો છે. જીએસટી અને નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુક્શાન કર્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જોતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ મધ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ મોદી સરકાર અને તેમની નીતિ પર ટિપ્પણી કરવાનો એક મોકો છોડ્યો નહતો. ગુજરાત પહોંચી રાહુલ ગાંધીએ જીએસટી પર મોદી સરકારને આડે હાથે લેતા કહ્યું કે સરકારે કોઇની પણ વાત સાંભળ્યા વગર જીએસટીને લાગુ કરી લીધી. તેમણે કહ્યું કે જીએસટીના નામે 5 રીતના ટેક્સ વસૂલાઇ રહ્યા છે. નાના વેપારીઓ મહિનાના 3 ફોર્મ કેવી રીતે ભરે. સરકારના આ પગલાના કારણે નાના વેપારીઓ અને ખેડૂતોને ભારે નુક્શનાન થયું છે. નાના વેપારીઓનો વેપાર બંધ થઇ ગયો છે.
વધુમાં વિકાસ મામલે ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિકાસ જૂઠ્ઠાણું સાંભળી સાંભળીને પાગલ થઇ ગયો છે. તેમણે વધુમાં કહ્યું આ જીએસટી પહેલા પણ સરકારે એક વર્ષ પહેલા આ જ રીતે નોટબંધી લાગુ કરી હતી. જે પણ કોઇને પૂછ્યા વગર કરવામાં આવેલો નિર્ણય છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તે લોકોના મનની વાત સાંભળશે. તેમણે કહ્યું જ્યાં એક તરફ ચીન દર રોજના 50 હજાર યુવાનોને રોજગાર આપે છે ત્યાં જ હાલની મોદી સરકાર ખાલી 450 યુવાનોને દર રોજ રોજગાર આપી રહી છે. આવી સ્થિતિમાં દેશની સામે નોકરી અને રોજગાર મોટી સમસ્યા છે.
તેમણે કહ્યું કે દેશના 100 મોટા ઉદ્યોગપતિઓ રોજગાર નહીં આપે. રોજગાર નાના વેપારીઓથી આવશે. એનડીએ સરકારે 10 ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા હતા. જો નાના દુકાનદારોના દેવા માફ કર્યા હોત તો ફાયદો રહેતો. નોંધનીય છે કે કોંગ્રેસનો પંજો ગુજરાતમાં સ્થાપવાની ચાહ સાથે રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. જેમાં પહેલા દિવસ તે ખેડા જિલ્લા, આણંદ અને વડોદરાની મુલાકાત લેશે. સાંજે વડોદરા પહોંચી તેમની આ પહેલા દિવસની યાત્રા સંપન્ન કરશે. ત્યારે રાહુલ ગાંધીની આ બસ યાત્રા જેને નવસર્જન યાત્રા નામ આપવામાં આવ્યું છે તે કોંગ્રેસની તરફ લોકોને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી શકે છે કે કેમ તે જોવું રહ્યું.