રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા શરૂ, પહોંચ્યા અક્ષરધામ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાહુલ ગાંધી આજે પહોંચ્યા ગુજરાત અને કર્યા અક્ષરધામ મંદિરના દર્શન. રાહુલ ગાંધી આવનારા ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં કરશે નવસર્જન યાત્રા. આ અંગે વધુ વાંચો અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ પછી રાહુલ ગાંધી ગાંધીનગર પાસે આવેલા અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. અને તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તે પછી રાહુલ ગાંધીએ તેમની ઉત્તર ગુજરાતન નવસર્જન યાત્રાને શરૂ કરતા પહેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે રાહુલ ગાંધીની આ મુલાકાતમાં તે અક્ષરધામ સિવાય અંબાજી અને શંખેશ્વરના જૈન મંદિર સમેત કુલ 8 જેટલા મંદિરોના દર્શન કરવાના છે. ત્યારે રાહુલના આ મંદિર પ્રવાસ પર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આજથી શરૂ થતી ત્રણ દિવસની કોંગ્રેસની નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસા, ઇડર જેવી જગ્યાની મુલાકાત લઇને 12 વધુ જાહેર સભા યોજશે. અને જીએસટી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે લોકો જોડે ચર્ચા કરીને કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરશે.