સુરતમાં બોલ્યા રાજ બબ્બર: અમિત શાહ હિંદુ નહીં, જૈન છે
રાજ બબ્બરે સુરતના વરાછામાં અમિત શાહ પર કર્યા પ્રહારોતેમણે અમિત શાહને જૈન ગણાવ્યાઆ અંગે વધુ વાંચો અહીં...
રાહુલ ગાંધીની સોમનાથ યાત્રા બાદ શરૂ થયેલ વિવાદમાં રોજ એક નવો મુદ્દો ઉમેરાતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર નિશાન સાધવાની એક પણ તક જતી નથી કરી રહ્યા. શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અમિત શાહને જૈન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'અમિત શાહ પોતાને એક હિંદુ કહે છે, પરંતુ તેઓ એક જૈન છે.' ઉલ્લેનીય છે કે, અમિત શાહ જૈન નહીં, પરંતુ વૈષ્ણવ વાણિયા છે. રાજ બબ્બરે આગળ કહ્યું કે, 'રાહુલ ગાંધીનો સવાલ છે તો, તેમના પરિવારમાં શિવભક્તિ લાંબા સમયથી થઇ રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રૂદ્રાક્ષ પહેરતા હતા, જે માત્ર શિવ ભક્તો જ પહેરે છે.'
શુક્રવારે રાજ બબ્બરે સુરતના વરાછા વિસ્તારમાં કોંગ્રેસી નેતાઓ માટે રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં જ તેમણે અમિત શાહ પર પ્રહારો કરતાં ઉપરોક્ત વાત કહી હતી. પીએમ મોદી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, મોદીજી પોતાને ગુજરાતના દિકરા ગણાવે છે, તો શું બીજા ગુજરાતી રાજ્યના સંતાન નથી? સાથે જ તેમણે કહ્યું હતું કે, ઇવીએમમાં કાળો જાદુ ન ચાલે તેવી માં ભવાનીને પ્રાર્થના કરીશ. નોંધનીય છે કે, ગુરૂવારે સાંજે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી હિંદુ નથી, તેમણે માત્ર હિંદુત્વ આપનાવી લીધું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં મુલાકાત કરી એ દરમિયાન તેમણે ગેર-હિંદુ તરીકે મંદિરમાં પ્રવેશ કર્યો હોવાની વાત આવતાં ધર્મના નામે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.