ડી-ગેંગની નજર રાજકોટ પર, આ વેપારીની લેવાઇ હતી સોપારી
રાજકોટ પોલીસ દ્વારા જે ચાર શાર્પ શૂટરને પકડવામાં આવ્યા હતા. તેમનું આ રીતે છે દાઉદ અબ્રાહીમ સાથે કનેક્શન. જામનગરના કયા વેપારીને મારવાની સોપારી લીધી હતી તે અંગે વધુ જાણો અહીં.
રાજકોટમાં આજકાલ ગુનાહિત પ્રવૃત્તિઓ જે રીતે વધી રહી છે તે જોતા ત્યાં રહેતા લોકોની સુરક્ષા અંગે એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. નોંધનીય છે કે રાજકોટ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શહેર છે. અને ત્યાં આજે દાઉદની ગેંગ માટે કામ કરતા 4 શાર્પશૂટર પકડાયા છે. મહારાષ્ટ્રના નાસિકથી નીતા નામની ખાનગી બસ દ્વારા પૈસા લઇને મર્ડર કરવાના ઇરાદે આ ચારેય ઇસમો ગુજરાત આવ્યા હતા. બાતમીના આધારે કુવાડવા પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પરથી આ ચારેય ઇસમો અને તેમની સાથે 6 જીવતા કાર્તૂસ, 9 mmની પિસ્તોલ અને 2 છરી જેવા હથિયારો સાથે પકડી પાડ્યા છે. વધુમાં પોલીસે તેમના ફોન અને સીમકાર્ડને જપ્ત કરી વધુ તપાસ અર્થ મોકલ્યા છે.
હાલ પોલીસ જોડેથી જે માહિતી મળી છે તે મુજબ આ ચારેય લોકોના નામ છે રામદાસ રહાને, વિનિત જલતિ, અનિલ ઘિલોડ અને સંદિપ શિબાંગ. આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે તેમને અનિસ ઇબ્રાહીમ કે જે મોસ્ટવોન્ટેડ દાઉદ ઇબ્રાહીમનો નાનો ભાઇ છે તેના તરફ રાજકોટના એક વેપારીને મારવા માટે સોપારી મળી હતી. રૂપિયા 10 લાખની સોપારી લઇને તે જામનગરના જાણીતા શિપબ્રેકિંગના વેપારી અશફાક ખત્રીને મારવાના હતા. નોંધનીય છે કે રામદાસ રહાણે કે જેણે આ સોપારી લીધી હતી તે અશ્વિન નાયરની ગેંગ માટે પહેલા કામ કરતો હતો. અને અશ્વિન નાયર તે સમયે દાઉદની ગેંગનો માણસ ગણાતો હતો.
Read also: રાજકોટમાં હથિયારો સાથે 4 લોકો પકડાયા
જામનગરના જે વેપારી અશફાક ખત્રી માટે આ ચારેય ઇસમોએ 10 લાખ રૂપિયાની સોપારી લીધી હતી તે અશફાક શિપબ્રેકિંગના વેપાર સાથે જોડાયેલા છે. વિદેશોમાં મોટા શિપ બ્રેકિંગના કોન્ટ્રાક્ટ તે લે છે. એટલું જ નહીં મુદ્રાથી પાન, બીડી અને તમાકુના નિકાસ સાથે પણ આ વેપારી જોડાયેલા છે. ત્યારે હાલ તો પોલીસે તેમના ઘરે સુરક્ષા વ્યવસ્થા વધારી છે. અને તેમની પણ આ અંગે પુછપરછ થઇ રહી છે કે શું તેમને ડી ગેંગ તરફથી કોઇ ખંડણીનો ફોન આવ્યો હતો? કે પછી તે કોઇ રીતે આ ઘટનામાં જોડાયેલા છે?
નોંધનીય છે કે હાલમાં રાજકોટમાં લાઇવ બોમ્બ પકડાયો હતો. અને હવે પાકિસ્તાનથી ફોન દ્વારા મહારાષ્ટ્રના નાસિકમાં ડી ગેંગના સાગરિતોને ફોન કરીને જામનગરના વેપારીને સોપારી બતાવી રહી છે કે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. જો કે પોલીસની સતર્કતાના કારણે આ ઘટના અંજામ તો નથી પામી પણ ડી ગેંગની ગુજરાત પર નજર, ગુજરાતની સુરક્ષા અંગે સર્તકતા વધારવાની જરૂરિયાતને બતાવી રહી છે.