રાજકોટમાં બે બાળકોની હત્યા બાદ પિતાનો આપઘાત
રાજકોટમાં કોળી સમાજના યુવાને તેના બે બાળકોને ટાંકામાં ડૂબાડી મારી નાંખ્યા પછી, પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. જાણો આ ઘટના અંગે વધુ અહીં.
રાજકોટ : કુવાડવા રોડ પર નવાગામની રંગીલા સોસાયટીમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. કોળી યુવાને પોતાના બે માસુમ પુત્રોને પોતાના ઘરના પાણીની ટાંકીમાં ડૂબાડી દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ બાજુના બંધ મકાનમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાને પગલે કોળી પરિવારમાં અને નવાગામમાં ચકચાર મચી ગઇ છે. બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના છેવાડે આવેલા નવાગામ રંગીલા સોસાયટી મેન રોડ ૫૦ વારીયામાં આવેલી સોમનાથ રેસિડેન્સીમાં 32 વર્ષીય રહેતો રમેશ મનસુખભાઇ જેસાણી નામનો કોળી યુવાન અને બે પુત્રો સવારે ઘરમાં જોવા ન મળતાં તેની પત્ની અલ્પાબેને શોધખોળ શરૂ કરી હતી. પણ પતિ અને પુત્રોનો પત્તો ન મળતાં દેકારો મચાવતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં.
અને અલ્પાબેને પતિના મોબાઇલમાં ફોન કરતાં બાજુનુ બંધ મકાન હોઇ તેમાં મોબાઇલની રીંગ રણકતાં લોકોએ તપાસ કરતાં રમેશના બાજુમાં આવેલા બંધ મકાનનું તાળુ તૂટેલુ જોતા લોકો તપાસ કરવા માટે ઘરમાં ગયા હતા ત્યારે રમેશ ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરતા ટીમ આવી હતી જેણે રમેશને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.પી. મેઘવાળ સહિતના સ્ટાફે પહોંચી તપાસ શરૂ કરી છે.