મતદાનનું ભારણ બદલી શકે છે એક્ઝિટ પોલનું તારણ!
નરેન્દ્ર મોદીએ 200 કરતા પણ વધારે સભાઓ યોજી દરેક જિલ્લા, બેઠકોમાં જાહેરસભાઓમાં ગુજરાતમાં થયેલા વિકાસની સાથો-સાથ સરક્રિક જેવા મુદ્દા અને કોંગ્રેસના ટોચના નેતાઓ પર આરોપ-પ્રત્યારોપ કરીને લોકોને ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને ખાસ કરીને ભાજપમાંથી અલગ પડેલા કેશુભાઇ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરીને ત્રીજા મોરચા તરીકે મતાદાતાઓને એક વિકલ્પ આપતા નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ જોરદાર અપપ્રચાર કર્યો હતો. કેશુબાપાની પકડ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અમુક બેઠકો પર હોવાની સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં મતદાતાઓએ ઐતિહાસિક મતદાન કરીને ભાજપ તેમાં પણ ખાસ કરીને મોદીના અનેક સમીકરણો બદલી નાંખ્યા છે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રા-દક્ષિણ ગુજરાત અને બીજા તબક્કામાં અમદાવાદ સહિત મધ્ય- ઉત્તર ગુજરાતમાં થયેલા મતદાને આત્મવિશ્વાસથી ભરપૂર નરેન્દ્ર મોદીને ડગમગાવી દીધા છે, કારણ કે જ્યારે પણ આશા કરતા વધારે મતદાન થયું છે ત્યારે સત્તાપર બેસેલા પક્ષને મતદાતાઓની એ આંધીનો શિકાર બનવું પડ્યું છે. તેમ છતાં વિવિધ ચેનલોના એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવા અનુમાન લગાવી રહ્યાં છે.
એક્ઝિટ પોલ અનુસાર મોદી-ભાજપનો વિજય નિશ્ચિત
13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરે યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજતક, એબીપી ન્યૂઝ અને ન્યૂઝ 24 દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. ઉક્ત તમામ ચેનલો દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં મોદીના નેતૃત્વ હેઠળના ભાજપને સ્પષ્ટ બહુમત મળશે અને તે ફરીથી સત્તા પર આવશે તેવા અનુમાન લગાવવામાં આવ્યા છે. જેમાં ભાજપને 120 અને તેના કરતા વધારે અને કોંગ્રેસને 50 અને તેની આસપાસ બેઠકો મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે એક્ઝિટ પોલમાં કેશુભાઇની જીપીપીને નજર અંદાજ કરવામાં આવી છે.
વિવિધ ચેનલો દ્વારા જાહેર કરવામાં એક્ઝિટ પોલ અનુસાર...
ન્યુઝ 24+ ટુડેઝ ચાણક્ય દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ભાજપને 140 (-+ 11), કોંગ્રેસને 40 (-+ 11) અને અન્યને 6 (-+ 3) મળવાની શક્યતા છે. આજતક અને ઓઆરજીએ ભાજપને 118થી 128, કોંગ્રેસને 50થી 56, જીપીપીને એકથી બે અને અન્યોને 4થી 6 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.એબીપી ન્યુઝ દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 116 સીટો, કોંગ્રેસને 60 સીટો, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીને 3 સીટો તથા અન્ય પક્ષોને 3 સીટો મળશે.
રેકોર્ડ બ્રેક મતદાન પેદા કરે છે શંકા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 70 ટકા કરતા પણ વધુ મતદાન નોંધાયું છે. બે તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 70.75 અને બીજા તબક્કામાં 70.20 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. ગુજરાતની પ્રજામાં આ વખતની ચૂંટણીમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ કરેલા આ ઐતિહાસિક મતદાનને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા બિરદાવવામાં આવ્યુ છે, પરંતુ એ વાત ચોક્કસપણ કહીં શકાય કે 2012ની ચૂંટણીમાં જે રેકોર્ડ સર્જતુ મતદાન થયું છે તેનાથી બન્ને પક્ષમાં શંકા પેદા થઇ હશે, ખાસ કરીને સત્તા પર રહેલું ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કારણ કે જ્યારે પણ કોઇ ચૂંટણીમાં આ પ્રમાણે રેકોર્ડ સર્જતુ મતદાન મતદાતાઓએ કર્યું છે ત્યારે તે સત્તારૂઢ પાર્ટી માટે જોખમી પુરવાર થયું છે. જો કે, ચૂંટણી દરમિયાન જે માહોલ જોવા મળ્યો હતો તેના પરથી તો આ મતદાન મોદી મેજીક અને ભાજપની આંધી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેમ છતાં આ પરિવર્તનની પણ આંધી હોય.
સૌરાષ્ટ્રે હંમેશા નિભાવી છે મહત્વની ભૂમિકા
ગુજરાત વિધાનસભામાં સમાવેશ થયા પછી સૌરાષ્ટ્રે એક યા બીજી રીતે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા એક મહત્વની ભૂમિકા નિભાવી છે. 1995માં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરીને કેશુભાઇની સરકાર રચવામાં પણ સૌરાષ્ટ્રનું યોગદાન અભૂતપૂર્વ હતું. તેમજ 2002 અને 2007માં પણ મોદીને મુખ્યમંત્રી બનાવવામાં સૌરાષ્ટ્રે બેવડી જવાબદારી નિભાવી હતી. સૌરાષ્ટ્રને ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં કેશુભાઇનું પ્રભુત્વ પણ ઓછું આંકી શકાય તેમ નથી, ત્યારે 1995માં જેમ સૌરાષ્ટ્ર કેશુભાઇની વહારે આવ્યું હતું તેમ 2012માં પણ આવે તો મોદીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.