રાજેન્દ્રભાઈ ખીમાણીનું રાજીનામું : કુલપતિ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજીનામાનો તત્કાળ સ્વીકાર
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખિમાણીએ રાજીનામુ આપી દિધુ હતુ. તેનો સ્વાકાર રાજ્યપાલ દ્વારા કરી લેવામાં આવ્યો છે.
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ આજે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર આગામી તારીખ 17 મી ફેબ્રુઆરી સુધીમાં ડૉ. શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીને કુલનાયકના હોદ્દા પરથી ખસેડવા પડે એ નિશ્ચિત હતું. આ સંભાવનાને પગલે જ ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ આજે રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીની ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેની નિયુક્તિને વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ-યુજીસી દ્વારા અયોગ્ય ઠરાવવામાં આવી હતી. યુજીસીએ ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીને તત્કાળ કુલનાયક પદેથી હટાવવાની ભલામણ વિધાપીઠના કુલપતિને કરી હતી. યુજીસીની આ ભલામણ સામે કુલનાયક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ- યુજીસી એ જે ભલામણ કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ યુજીસીની ભલામણના આધારે જ નિર્ણય કરે. ગુજરાત હાઇકોર્ટના આ આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડો. રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવવાનો નિર્ણય લેવાના જ હતા એ દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પોતાનું રાજીનામું આપી દીધું છે.
આ પ્રકારે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ-યુજીસીની ભલામણ અનુસાર ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ કુલનાયક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ભરતભાઈ જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.