1991માં 'રાવણે' મેળવી હતી સાબરકાંઠાની ગાદી
નવા સીમાંકન પહેલાં આ જિલ્લામાં વિધાનસભાની આઠ સીટો હતી. નવા સીમાંકનમાં મેધરજની સીટનું અસ્તિત્વ ખતમ થઇ ગયું છે. ગત ત્રણ વિધાનસભાની ચૂંટણી પર એક નજર નાખીએ તો ભાજપનું પ્રદર્શન એક સમાન રહ્યું છે. 1998, 2002, અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે ભાજપે 5 સીટો પર કબજો મેળવ્યો છે.
જ્યારે કોંગ્રેસે 1998ની ચૂંટણીમાં આ જીલ્લામાંથી બે સીટો મેળવી હતી, 2002 અને 2007ની ચૂંટણીમાં ત્રણ-ત્રણ સીટો મેળવી હતી. 1998માં ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા ઉપેન્દ્ર ત્રિવેદી અપક્ષ તરીકે મેળવી હતી.
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા સીટ પરથી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ વરિષ્ઠ નેતા અમરસિંહ ચૌધરીએ જીત મેળવી હતી. નરેન્દ્ર મોદીના હાલના મંત્રીમંડળના ત્રણ મહત્વપૂર્ણ મંત્રી સાબરકાંઠા જિલ્લામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી રમણલાલ વોરા ઇડર સીટ પરથી ધારાસભ્ય રહ્યાં છે ત્યારે આ વખતે પણ ઇડરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલ જે હિંમતનગરથી ભાજપના ધારાસભ્ય છે અને ફરી એકવાર તે હિંમતનગરથી ચૂંટણી લડી રહ્યાં છે.
સાબરકાંઠાની પ્રાંતિજ સીટ પરથી ભાજપના ધારસભ્ય જયસિંહ ચૌહાણ મોદીના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી છે. જયસિંહ ચૌહાણ 1996 અને 1998માં રાજ્યની કપડવંજ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ રહ્યા છે. નવા સીમાંકનમાં કપડવંજ લોકસભા સીટનું અસ્તિત્વ ખતમ થઇ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાધેલા પણ બાયડ સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ગત વિધાનસભામાં તે મેઘરજ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તે ચૂંટણી જીત્યા હતા.
જ્યાં સુધી લોકસભા ચૂંટણીનો પ્રશ્ન છે 1991થી લઇને 2009 સુધી ફક્ત બે વાર સાબરકાંઠાની સીટ પર કબજો મેળવ્યો છે. આ દરમિયાન વચ્ચેના સમયગાળામાં કોંગ્રેસનો કબજો રહ્યો છે. 1991ની રામ લહેરમાં આ સીટ રામાયણ સીરિયલમાં રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીએ જીતી હતી.
ત્યારબાદ સતત ત્રણ ચૂંટણીઓમાં આ સીટ પરથી કોંગ્રેસના નિશાબેન ચૌધરીએ જીત મેળવી હતી. જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની છે. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મધુસૂદન મિસ્ત્રીએ વિજય પતાકા લહેરાવી હતી. જ્યારે 2009મની લોકસભાની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર સિંહ ચૌહાણે મધુસૂદન મિસ્ત્રીને હરાવ્યા હતા.