રૂપાણીના રાજીનામા મુદ્દે સંજય રાઉત, આ ભાજપની આંતરિક બાબત!
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા અંગે શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે આ ભાજપની આંતરિક બાબત છે. તમને જણાવી દઈએ કે, વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં દરેકની નજર ભાજપ કયા ચહેરાને રાજ્યની કમાન સોંપશે તેના પર છે.
નવા મુખ્યમંત્રીને લઈને ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન ગાંધીનગર પહોંચેલા નિરીક્ષક અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ નવા મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય કરશે. અગાઉ પ્રહલાદ જોશી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસસ્થાને ગયા હતા, જ્યાં તેમણે નવા મુખ્યમંત્રીને ધ્યાનમાં રાખીને રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર હતા. નવા મુખ્યમંત્રીની રેસમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નામ પણ આગળ છે. જોકે, સી.આર.પાટીલે ગઈકાલે કહ્યું હતું કે તે આ રેસમાં નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા પર નિવેદન આપતા કહ્યું કે આ ભાજપની આંતરિક બાબત છે. તેમણે કહ્યું કે, અમે ઉત્તરપ્રદેશમાં લગભગ 100 બેઠકો પર ચૂંટણી લડીશું, જે આગામી વર્ષે યોજાશે. ગોવામાં અમે 20 થી વધુ બેઠકો લડીશું, અમે ગઠબંધન કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા શિવસેનાએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત કહે છે કે 100 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.