મોદી સરકારને ઝટકોઃ સુપ્રીમે લોકાયુક્તની નિયુક્તિ માન્ય રાખી
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર અને રાજ્યપાલના સંબંધોમાં અનેક બાબતોએ કડવાશ હતી, ખાસ કરીને લોકાયુક્ત તરીકે નિવૃત જજ આર એ મહેતાની નિયુક્તિ રાજ્યપાલ દ્વારા કરવામાં આવતા સંબંધો વધુ કડવા બન્યા હતા, જે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે વધુ તંગ બનશે તેમાં કોઇ બેમત નથી.
લોકાયુક્તની નિયુક્તના કારણે રાજ્યની ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. કેગ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કેટલીક ગેરરીતિઓ અને ખોટા ખર્ચાઓ અંગે ઉલ્લેખ કર્યો હતો ત્યારે લોકાયુક્તની નિયુક્તિ બાદ આ તમામ મોરચે રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે એવી સંભાવનાઓ વધી ગઇ છે.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું
ગુજરાત વિધાનસભાના પૂર્વીય વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કરવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા અંગે જણાવ્યું કે "દેર છે અંધેર નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય માન્ય છે. ગુજરાતના રાજ્યપાલે જે નિર્ણય લીધો તે યોગ્ય છે. ભાજપની કહેણી અને કથણી અલગ છે. લોકસભામાં તમે લોકાયુક્તનું સમર્થન કરો અને ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકને સુપ્રીમ કોર્ટમાં પડકારો એ ભ્રષ્ટાચારને બહાર આવતો અટકાવવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વેશન કરવું પડ્યું છે. ગુજરાતમાં 8 વર્ષથી નિમણૂંક અટકેલી છે. કમિશન મુકીને ક્લીનચીટ લેવાનો ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રયત્ન નિંદાને પાત્ર છે. આખરે કાયદા મુજબ બધા જ ફસાયેલા છે. કાયદા મુજબ છટકવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે ત્યારે હું એટલું જ કહીશ કે સત્યમેવ જયતે"
ભાજપે શું કહ્યું
ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે જણાવ્યું કે થોડી મિનીટ પહેલા જ ચૂકાદો આવ્યો છે એટલે ચૂકાદાની વિગતો મેળવીને અભ્યાસ કરીશું અને પછી પ્રતિક્રિયા આપીશું.
શુ હતો મામલો
ન્યાયમૂર્તિ બી એસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ એફ એમ ઇબ્રાહિમ કલીફુલ્લાની ખંડપીઠ હાઇકોર્ટના ગત વર્ષના જાન્યુઆરીના નિર્ણય વિરૂદ્ધ દાખલ રાજ્ય સરકારની અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. હાઇકોર્ટનો આ નિર્ણય ન્યાયમૂર્તિ વી એમ સહાયે સંભળાવ્યો હતો. આ પહેલાં હાઇકોર્ટની બે સદસ્યીય ખંડપીઠના ન્યાયાધીશોમાં લોકાયુક્તના રૂપમાં ન્યાયમૂર્તિ મહેતાની નિયુક્તિ મુદ્દે મતભેદ હોવાના કારણે ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો.
ત્રીજા ન્યાયાધીશના રૂપમાં ન્યાયમૂર્તિ સહાયે રાજ્યમાં સંવિધાનિક સંકટ પેદા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. તેમને કહ્યું હતું કે રાજ્યપાલને આવી નિમણૂંક કરવાનો વિશેષ અધિકાર છે. ન્યાયમૂર્તિ સહાયે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે લોકાયુક્તના મુદ્દે મુખ્યમંત્રીનું નાટક આપણા લોકતંત્રનું વિખંડન દર્શાવે છે.
રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજ્યપાલ દ્રારા લોકાયુક્તની નિયુક્તિના મામલે એક તરફી વિવેકાધિકારનો ઉપયોગ અનાવશ્યક છે. રાજ્ય સરકારે આ ચુકાદામાં મુખ્યમંત્રી અંગે વાપરવામાં આવેલા કઠોર શબ્દો પર વિરોધ કરતાં આને રેકોર્ડમાંથી નિકાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યપાલ કમલા બેનીવાલે 25 ઓગષ્ટ 2011ના રોજ સેવાનિવૃત્ત ન્યાયાધીશ આર એ મહેતાને લોકાયુક્ત નિયુક્ત કરી દિધો હતો. રાજ્યમાં લોકાયુક્તનું પદ ગત આઠ વર્ષથી ખાલી છે.