
રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, 45 લાખ વિદ્યાર્થીઓ જોડાયા!
રાજ્યમાં ત્રીદિવસીય ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને બહોળો જનપ્રતિસાદ મળ્યો છે. કાર્યક્રમને મળેલી સફળતાનો શ્રેય જનતાને આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, આ વર્ષે નાગરિકોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાખવેલો ઉત્સાહ અનેરો હતો. રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ૪૫ લાખથી વધુ વિધ્યાર્થીઓ સહિત ૧ કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા અને તેને કારણે જ આ ઉત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બની રહ્યો.
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે હતુ કે, ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશીયો ૧૦૦ ટકાની ખુબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશીયો પણ ઘટ્યો છે. બાળકોના શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ થાય છે.
શિક્ષણમંત્રીએ આગળ જણાવ્યુ કે ૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ- શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ-બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ, બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ છે.
શિક્ષણમંત્રીએ આપેલી વિગતો અનુસાર, રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની કુલ ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. સ્થાનિક કક્ષાએ વધુ બાળકો શાળામાં પ્રવેશ લે તે માટે દાતાશ્રીઓ દ્વારા અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યભરમાં સમાજ અગ્રણીઓ-સખાવતીઓએ રોકડ ૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે ૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી ર૮.૫૩ કરોડનુ દાન આપ્યુ છે. તે ઉપરાંત બનાસકાંઠાના કાશીપુરા ખાતે ૧૦ લાખની કિંમતની જમીનનું દાન પણ મળ્યુ છે.
ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ત્રણ દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, નામદાર હાઇકોર્ટ દ્વારા કરેલા અવલોકનમાં પણ રાજ્યની શાળાઓની સ્થિતિની સરાહના કરવામાં આવી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.