ટ્રેક્ટર સાથે શંકર સિંહ વાઘેલા ઉતરશે ગુજરાત ચૂંટણીમાં
શંકર સિંહ વાઘેલાએ તેમના જન વિકલ્પ મોર્ચા પક્ષ માટે ટેક્ટરને ચૂંટણી ચિન્હ પસંદ કર્યું છે. ત્યારે આ પ્રસંગે બાપુએ કોંગ્રેસ અને ભાજપને આડે હાથે લીધા હતા. વધુ વાંચો અહીં.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થઇ તે પહેલા શંકર સિંહ વાઘેલાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે તેમની પાર્ટી જન વિકલ્પ મોર્ચાનો ચૂંટણી ચિન્હ જાહેર કર્યો છે. વાઘેલાએ ટેક્ટરને પોતાનું ચૂંટણી ચિન્હ બનાવ્યું છે. અને આ પ્રસંગે જણાવ્યું કે તેમની પાર્ટી જન વિકલ્પ મોર્ચા આ વખતે ટેક્ટર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી લડવા માટે અમે અંબાણી કે અડાનીથી કોઇ ચંદો નહીં લઇએ. સાથે જ તેમણે કહ્યું કે જો અમારી સરકાર બની તો અને વિધવાઓને 5000 રૂપિયા પેન્શન આપીશું. સાથે જ આ ચૂંટણીમાં તેમના જે પણ ઉમેદવારો હશે તેમના પર કોઇ આરોપ નહીં હોય અને ચૂંટણી લડવાની ક્ષમતા ધરાવતા હશે તેવા જ લોકોને ટિકિટ આપવામાં આવશે તેવું વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું અમે બીજા દળોની જેમ પૈસાના દમે અમારા ઉમેદવારોને ટિકિટ નહીં આપીએ.
વધુમાં આ પ્રસંગે ગુજરાતમાં આટલી મોડી ચૂંટણીની તારીખો કેમ જાહેર કરવામાં આવી તે અંગે બોલતા વાઘેલાએ કહ્યું કે આ બધુ ભાજપ અને કોંગ્રેસની મિલિભગત છે. ભાજપ પોતાના ફાયદા માટે ચૂંટણી પંચનો દૂરઉપયોગ કરી રહી છે. સાથે જ તેમણે પીએમ રેલીના કારણે ચૂંટણીની તારીખોની જાહેરાત ન કરવાનો આરોપ પણ ચૂંટણી પંચ પર લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ સાથે જ હવે લોકોને મતદાન વખતે ભાજપ અને કોંગ્રેસ સમેત જન વિકલ્પ મોર્ચાનો પણ ઓપશન મળશે. ત્યારે જોવાનું તે રહે છે કે ગુજરાતમાં આ ત્રીજો મોર્ચો કેટલો સફળ જાય છે. અને કોની વોટ બેંક તોડે છે.