બોટાદઃ ભાજપ સામે કોંગ્રેસના બાવળિયાનું પલડું ભારે
રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર
બોટાદ બેઠક પરથી અગાઉ ભાજપના સૌરભ પટેલ ઉભા રહેતા હતા પરંતુ નવા સીમાંકનના કારણે આ વખતે તેમને આ બેઠક પર રિપિટ કરવામાં આવ્યા નથી, તેઓ અકોટા બેઠક પરથી ચૂંટણી લડવામાં છે, તેમના સ્થાને ભાજપે નવો ચહેરો એવા ડો ટી. ડી. મણિયાને ટિકિટ આપી છે. બીજી તરફ, કોંગ્રેસે પણ જસદણ બેઠક પર વર્ચસ્વ ધરાવતાં કુંવરજીભાઈ બાવળિયાને ટિકિટ આપી છે. જીપીપીના ઉમેદવાર વિનુભાઈ દલવાડી છે.
બોટાદ બેઠક 1998થી ભાજપના કબ્જામાં રહી છે. નવા સિમાંકનના કારણે ગઢડા તાલુકાના 25 ગામોને આ બેઠકમાં ભેળવી દેવામાં આવ્યા છે, સાથે જ સમગ્ર વલ્લભીપુર તાલુકાનો સમાવેશ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો છે, જેના કારણે પટેલ મતદારોની સંખ્યા ઘટાડો નોંધાયો છે અને કોળી મતદારોની સંખ્યા વધારો થવા પામ્યો છે. 3 ટર્મથી આ બેઠક પર ભાજપના સૌરભ પટેલ વિજયી થાય છે. ગઇ ટર્મમાં ભાજપના ઉમેદવાર સૌરભ પટેલને આ બેઠક પર 3177 મતની નજીવી સરસાઇ મળી હતી અને તેથી કોંગ્રેસ માટે અહીં જીત સરળ થઇ ગઇ છે.
ભાજપ- ડો.ટી.ડી. માણીયા
ભાજપના ઉમેદવાર ડો.ટી.ડી. માણીયા છે, તેમની મિલકત 2.31 કરોડ છે. આ બેઠક પરથી સૌરભ પટેલ ખસી જવાના કારણે ભાજપે ડો.ટી.ડી. માણીયાને ટીકીટ આપી છે. માણીયા પટેલ સમાજમાંથી આવે છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી તાલુકા કક્ષાએ ભાજપનાં કાર્યકર તરીકે કામ કર્યું છે. વ્યવસાયે તબીબ અને માનવીય અભિગમ હોવાના કારણે તેઓ લોકપ્રિયતા ધરાવે છે.તેઓ પ્રથમ વાર ચુંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવાર પ્રમાણમાં ઘણા નબળા દેખાઇ રહ્યા છે. ભાજપમાં તેમની ઉમેદવારી સામે ખાસ કોઇ જુથબંધી નથી.
કોંગ્રેસ- કુંવરજીભાઇ બાવળીયા
કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળીયા છે, તેમની મિલકત 91.85 લાખ છે. તેઓ રાજકોટના સાંસદ છે. બોટાદ બેઠક પર 68000ની આસપાસ કોળી મતદાર છે અને બાવળીયા કોળી સમાજના છે. તેઓ છેલ્લા 6 માસથી અહીં ચૂંટણી લડવાની કવાયત કરી રહ્યા હતા. તેમના નામને લઇને કોંગ્રેસમાં કોઇ અસંતોષ નથી.
જીપીપી- વિનોદભાઇ પરમાર
ભાજપ સાથે છેડો પાડીને 2012ની ચૂંટણીમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરવિર્તન પાર્ટીએ ઝંપલાવ્યું છે. જીપીપીના ઉમેદવાર તરીકે વિનોદ પરમાર ચૂંટણી લડી રહ્યા છે, તેઓ કોળી સમાજમાંથી આવી રહ્યાં છે. તેઓ નવા ઉમેદવાર છે અને રાજકારણમાં પણ નવા હોવાથી ચૂંટણીમાં તેમની કોઇ અસરકારકતા દેખાતી નથી.