સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ: ડીજી વણઝારાને શરતી જામીન મળ્યા
મુંબઇ, 11 સપ્ટેમ્બર : ગુજરાતના બહુચર્ચિત અને ગુજરાત પોલીસના અધિકારીઓની સંડોવણી ધરાવતા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં વર્ષ 2007થી જેલમાં બંધ નિવૃત્ત આઇપીએસ અધિકારી ડીજી વણઝારાને બોમ્બે હાઇ કોર્ટે આજે સશર્ત જામીન આપ્યા છે.
કોર્ટના આદેશ અનુસાર જામીન મેળવવા માટે ડીજી વણઝારાએ રૂપિયા 2 લાખના જાતમુચરકા આપવા પડશે. આ સાથે તેમણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.
નોંધનીય છે કે 60 વર્ષીય ડીજી વણઝારા સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટરના કેસના સંબંધમાં માર્ચ 2007થી જેલમાં છે. ગુજરાત રાજ્ય સીઆઈડીએ તેમની ધરપકડ કરી હતી.વણઝારાની ધરપકડ કરાઈ હતી ત્યારે તેઓ ડેપ્યૂટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (બોર્ડર રેન્જ) તરીકે ફરજ બજાવતા હતા.
ડીજી વણઝારાને ઈશરત જહાં, તુલસીરામ પ્રજાપતિ અને સાદિક જમાલ મેહતારના નકલી એન્કાઉન્ટર કેસોમાં પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. વણઝારા જામીન મેળવવા માટે અત્યાર સુધીમાં સાત વાર અરજી કરી ચૂક્યા છે. આ બાબતનો તપાસ એજન્સીઓએ વિરોધ કર્યો હતો.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે અંડરટ્રાયલ કેદીઓને તાત્કાલિક જામીન આપવાનો આદેશ કર્યો છે. આ આદેશના આધારે આ વખતે વણઝારાએ કરેલી જામીન અરજીને મુંબઈ હાઈકોર્ટે મંજૂર રાખી છે.