આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવામાં આવશે: રૂપાણી
સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી, પાલીતાણા, પાવાગઢ, ડાકોર અને શામળાજીને ૨૪ કલાક રાખવામાં આવશે સ્વચ્છ. વધુ વાંચો અહીં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત સરકારનાં મહત્વાકાંક્ષી અભિયાન સમાન રાજ્યનાં આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવાનાં ભગીરથ કાર્યનો પ્રારંભ સોમનાથ થી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ યાત્રાધામ વિકાસ બોર્ડની અદ્યતન વેબસાઇટ અને યાત્રાધામ અભિયાનનાં લોગાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે, યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવા ઉચ્ચ કક્ષાની સફાઇ કામગીરી રાષ્ટ્રીયકક્ષાની એજન્સીઓને આપીને ગુજરાતનાં યાત્રાધામોને સંપુર્ણ સ્વચ્છ રાખવાનું આ વિરાટ કદમ છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાન્યત: યાત્રા ધામોનાં સ્થળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. આ માટે રાજ્ય સરકારે સમગ્ર ભારતમાં એક પહેલ કરીને સ્વચ્છતાનું વિરાટ પગલું ભર્યું છે. માત્ર મંદિરો જ નહી પરંતુ મંદિરોને જોડતા રસ્તા અને પરિસરને પણ સ્વચ્છ રખાશે. સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત આઠ તિર્થ સ્થળોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સોમનાથમાં ૧.૮૬ લાખ ચો.મીટર સહિત અંદાજે ૧૧ લાખ ચો.મીટર વિસ્તાર સતત સ્વચ્છ રખાશે. લોકોની જાગૃતિ અને ભારત સ્વચ્છ અભિયાનમાં જોડાવાની ગુજરાતની સર્વગ્રાહી પહેલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી કલ્પના ગુજરાતમાં સાકાર થશે. યાત્રાધામોની સ્વચ્છતા જોઇ યાત્રાળુઓ ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનશે તેમ પણ કહ્યું હતું.
Read also : સોમનાથમાં પહેલી વાર આજે મળશે બીજેપીની કારોબારી બેઠક
નોંધનીય છે કે ગુજરાત સરકારના આ અભિયાનમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી, પાલીતાણા, પાવાગઢ, ડાકોર અને શામળાજીમાં ૨૪ કલાક સફાઇ કામગીરી કરાવવામાં આવશે. આજે સોમનાથ ખાતે ગુજરાતની કારોબારી સભાનો છેલ્લો દિવસ હોવાના કારણે મુખ્યમંત્રી રૂપાણી સોમનાથની મુલાકાત લીધી હતી. સાથે જ સવારે તેમની પત્ની સાથે સોમનાથ દાદાની આરતી પણ કરી હતી.