ગાંધીનગર જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો
રાજયભરમાં ગુજરાત રાજયના સ્થાપના દિવસ નિમિત્તે મહા જળયજ્ઞ મીશન અન્વયે સુજલામ – સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
રાજયભરમાં ગુજરાત રાજયના સ્થાપના દિવસ નિમિત્તે મહા જળયજ્ઞ મીશન અન્વયે સુજલામ – સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનના હસ્તે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કર્યો હતો. આવનાર વર્ષોમાં જળ સંકટના નિવારણ માટેનું આ જળ અભિયાન એક જન આંદોલન બને તથા લોકોની ભાગીદારી અને શ્રમદાન દ્વારા જળ સ્ત્રોતોના પુન:જીવનનું મીશન સાર્થક કરવા નરહરિ અમીને આહૂવાન કર્યું હતું. ગામડાઓનો વિકાસ જળ ઉપર નિર્ભર છે. ત્યારે લોકોમાં જન જાગૃતિ આવે અને પાણી બચાવવામાં મહિલાઓ જાગૃતિ દાખવી નોંધપાત્ર યોગદાન આપે તો રાજય સરકારનો જળ નિર્ધારનો કાર્યક્રમ સફળ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજીવકુમારે જળ સંચય માટે લોકભાગીદારી અને શ્રમદાન દ્વારા અમૃત સમાન પાણી બચાવવા અને કુદરતી જળસ્ત્રોતનો સંયમથી ઉપયોગ કરવા જણાવ્યું હતું.
રાજય સરકારના પાંચ વિભાગો દ્વારા હાથ ધરેલ આ મહા જળયજ્ઞ દ્વારા લોકોમાં પાણીનો વિવેક અને કરકસરપૂર્વક ઉપયોગ થાય તથા જળની લોકોને કિંમત સમજાશે. તો જ ભવિષ્યમાં જળ સંચયના ફળદાયી પરિણામો પ્રાપ્ત થશે. જિલ્લાના ૧૮૦ તળાવો ઉંડા કરવા ૫૪૦ જેસીબી/હીટાચી તથા ૧૫૦૦ જેટલા ડમ્પર-ટ્રેકટર મળી કુલ- ૨૦૭૦ યુનીટની મશીનરી આ જળયજ્ઞમાં વપરાશે.
કલોલમાં પણ તળાવ ઉંડા કરવા અભિયાન હાથ ધરાયું
કલોલ તાલુકાના બાલવા અને માણસા તાલુકાના પરબતપુરા ગામે પણ સ્થાનિક સાધુ-સંતોની ઉપસ્થિતિમાં બંને ગામના તળાવ રૂ. નવ લાખના ખર્ચે ઉંડા થવાથી અનુક્રમે ૧.૫૦ મીલીયન કયુબીક ફીટ તથા ૧.૭૫ મીલીયન કયુબીક ફીટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે.
દહેગામમાં પણ કરાયો અભિયાનનો આરંભ
દહેગામ તાલુકામાં ખારી નદીને પુન: જીવીત કરવાના નવતર અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના ચેખલાપગી ગામે રૂ. ૨૯.૫૫ લાખના જળ સંચયના વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખારી નદીને પુન: જીવીત કરવાના નવતર અભિયાનના ભાગરૂપે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભુગર્ભ જળ સંચયના કામો માટે ૪૩૨ હેકટર વિસ્તારમાં બે ચેકડેમ, ૧૨ પથ્થર પાળાબંધીના ૧૦ નાળા પ્લગના અને વનીકરણ સહિત કુલ રૂ. ૨૯.૫૫ લાખના જળ સંચયના વિકાસકામો હાથ ધરવાનું આયોજન કર્યું છે.
સાબરમતિ નદીનો પટ સાફ કરવા અભિયાન હાથ ધર્યુ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સાબરમતી નદીના પાણીના આવરામાં આવતાં ઝાડી-ઝાખરા દૂર કરવાનો પ્રારંભ ઇન્દ્રોડા ખાતે નદીના પટમાં કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા બે જેસીબી, બે ડમ્પર અને ૧૦૦ જેટલા કામદારોએ જળ સંચય અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. પર્યાવરણના રક્ષણ અને પાણીનો સંચય કરી જળ સ્ત્રોતના મિશનને પાર પાડવા રાજય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનમાં નાગરિકોને જોડાવવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.