રાજ્ય સરકાર દ્વારા ‘‘આર્થિક ગુના નિવારણ સેલ’’ની રચના કરાશે
રાજ્ય સરકાર દ્વારા સુરતમાં થઇ રહેલા આર્થિક છેતરપીંડીના ગુનાઓને અટકવવામાં આવશે. જે માટે તેમણે લીધા છે આ પગલાં. વધુ જાણો અહીં.
સુરત શહેરમાં ટેક્ષટાઇલ માર્કેટ તથા ડાયમંડ માર્કેટ અને જમીનોના કેસોમાં છેતરપીંડીના વધી રહેલા બનાવોથી વેપારીઓમાં ફેલાયેલા ગભરાટને દૂર કરવા તથા સાચા ગુનેગારોને ઝડપી લઇ ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ ''આર્થિક ગુના નિવારણ સેલ''ની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સમૃધ્ધિ, સલામતી, સુરક્ષા જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. સુરત શહેરમાં ટેક્ષટાઇલ માર્કેટમાં વેપારીઓ પાસેથી ઉધારે લીધેલ માલનું પેમેન્ટ ન કરીને છેતરપીંડી આચરવાના બનાવો બનવા પામ્યા છે. ડાયમંડ માર્કેટમાં અને જમીનોના કેસોમાં પણ છેતરપીંડીની ફરીયાદો ઉઠવા પામી છે.
આ બનાવોને ગંભીરતાથી લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવા આર્થિક ગુના આચરનારોઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરતા સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આર્થિક ગુના નિવારણ સેલની રચના કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત શહેરમાં કાપડ બજાર, હીરા બજાર તેમજ જમીનોને લગતા છેતરપીંડીના તેમજ ઠગાઇના ગુનાની વ્યવસ્થિત તપાસ થાય અને આવી આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ આવે તે માટે રચવામાં આવેલા આ ''આર્થિક ગુના નિવારણ સેલ''માં મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અધિકારી ઇન્ચાર્જ રહેશે. જે નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ)ના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરશે. આ સેલમાં ૨ પોલીસ ઇન્સ્પેક્ટર, ૪ પી.એસ.આઇ., ૮ હેડ કોન્સ્ટેબલ અને ૧૨ કોન્સ્ટેબલની ટીમ રહેશે. આ સેલ દ્વારા પોલીસ કમિશનરની સૂચનાથી રૂા.૨૫ લાખથી વધુ રકમના આર્થિક ગુનાઓની તપાસ કરવામાં આવશે.