ગુજરાતના 17માં મુખ્યમંત્રી વિજય રૂપાણી, 26 ડિસે. લેશે શપથ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપ પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહી છે. ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂવાણી લેશે શપથ. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીત થતા ગુજરાતમાં ફરી તેમની સરકાર બનશે. ભાજપના તમામ કાર્યકરતાઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિજય રૂપાણી ગુજરાતનાં 17માં મુખ્યમંત્રી તરીકે 26 ડિસેમ્બરના રોજ શપથ લેશે. મળતી માહિતી અનુસાર વિજય રૂપાણી અને નીતિન પટેલનો શપથ વિધિ કાર્યક્રમ સવારે 11 કલાકે થશે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ કાર્યક્રમ થાય તેવી સંભાવના છે. આ કાર્યક્રમમાં ભાજપના કયા કયા નેતાઓ હાજર રહેશે તેની સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શપથ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેવી પણ શક્યતા છે.
ગુજરાતમાં ભાજપની છઠ્ઠી વખત સરકાર બનાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ મુખ્યમંત્રીના નામોની અટકળો ચાલુ થઈ ગઈ હતી. તે માટેની કામગીરી ભાજપના પ્રભારી અરૂણ જેટલી અને નેતા સરોજ પાંડેને સોપાવામાં આવી હતી. એ સમયે પુરુષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ, સ્મૃતિ ઇરાનીનું નામ પણ તે લીસ્ટમાં આગળ ચાલી રહ્યુ હતું. તેવી પણ સંભાવના હતી કે પાટીદાર આંદોલનના સમાધાન માટે નીતિન પટેલને પણ મુખ્યમંત્રી બનાવાશે. પરંતુ તમામ અટકળોની વચ્ચે ફરી પસંદગીનો કળશ વિજય રૂપાણી પર ઢોળવામા આવ્યો છે.