કેન્સરને નાથવા મુખ્યમંત્રીએ કરી હાકલ
મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર હોસ્પિટલનાં જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો
મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો. રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં' સંયુકત ઉપક્રમે યોજાયેલા સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપૂર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ. ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે.
આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલક બળ બનશે, મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની 25 ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરતી સંસ્થાઓ/ હોસ્પિટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પિટલો પરનું કામનું ભારણ ઘટશે.
ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તબીબોની વય મર્યાદા 65 વર્ષ કરવામાં આવી છે અને 1995માં ગુજરાતમાં મેડીકલ સીટ 830 હતી જે અત્યારે 4000 કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીના અંબાણીએ આજના પ્રસંગે જણાવ્યું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઇ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.આ હોસ્પિટલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે 2009માં મુંબઇ ખાતે સ્વ. ધીરૂભાઇ અંબાણીની યાદમાં અને કોકીલાબહેનને સમર્પિત આ હોસ્પિટલ શરૂ કરાઇ હતી.સુરત બાદ રાજકોટ ખાતે મેડિકલ સેન્ટર શરૂ કરાતા અહીના લોકોને અદ્યતન સારવારનો લાભ મળશે.
કેન્સર અવેરનેસના કાર્યક્રમમાં હાજરી આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કેટલોક સહયોગ અને રાજ્ય સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબદ્ધ છે. આ તકે તેમણે યુવાનોમાં જોવા મળતા વ્યસનને સામાજિક જાગૃતિ થકી તિલાંજલિ આપવા પણ આહ્વાહન કર્યું હતું.
તમાકુનું ઓછામાં ઓછું સેવન થાય તેવા સરકારના પ્રયાસો રહેશે, એવું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સીએમ બન્યા પછી પોણા બે વર્ષે મારા જ ટ્રસ્ટમાં આવવાની તક મળી તે સૌભાગ્યની વાત છે. ગુજરાતમાંથી કેન્સરને કેન્સલ કરવા સરકાર કટિબધ છે અને તે તરફના પ્રયાસો ચાલુ છે. ગુજરાતમાં દીકરીઓમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે પેપ ટેસ્ટની સુવિધા ઉભી કરાશે. પેપ ટેસ્ટ દ્વારા દીકરીઓનું 10 વર્ષ બાદ થવાના કેન્સર અંગે નિદાન કરી જીવન બચાવી શકાય છે. ટૂંક સમયમાં પેપ ટેસ્ટ અંગે સરકાર નિર્ણય લેશે.