જામવંથલી ગામના વૃદ્ધે પોતાની મૃત્યુની તારીખ જાહેર કરતા સર્જાયું કૌતુક
કળિયુગમાં કોઈ એમ કહે કે ચોક્કસ તારીખે અને ચોક્કસ સમયે મને ભગવાન લેવા આવવાના છે અને હું દેહત્યાગ કરીશ તો લોકોને નવાઈ જ લાગે.
કળિયુગમાં કોઈ એમ કહે કે ચોક્કસ તારીખે અને ચોક્કસ સમયે મને ભગવાન લેવા આવવાના છે અને હું દેહત્યાગ કરીશ તો લોકોને નવાઈ જ લાગે, કારણ કે ઇચ્છામૃત્યુ ભીષ્મપિતામહને જ મળ્યું હતું. જોકે જામનગર નજીક એખ વૃદ્ધે પોતાની મૃત્યુની તારીખ પણ કહી છે અને જાહેરાત કરી છે કે તેને ભગવાન લેવા આવશે, આથી આસપાસના ગામડાઓ અને વિસ્તારો સહિત માધ્યમમોમાં પણ આ અંગે કૌતુક સર્જાયું છે.
જામનગરથી 28 કિ.મી.ના અંતરે આવેલા જામવંથલી ગામે આવતીકાલ તા.24મીએ હરિભાઈ નામના એક વૃધ્ધ ભકતજન દેહત્યાગ કરવાના હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો પ્રવાહ જામવંથલી તરફ વળી રહ્યો છે. ગામના પ્રસિધ્ધ મંદિરે આયોજિત પાંચ દિવસીય ધર્મોત્સવના સમાપન વેળા ખૂદ ભગવાન સ્વામિનારાયણ લેવા આવશે એવું હરિબાપાએ જાહેર કર્યાની ચર્ચા વ્યાપ્ત બની હોવાથી ઉત્તેજના ફેલાઈ છે. માંડ ત્રણ-ચાર હજારની વસતીવાળું આ ગામ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.
અહીંનું પ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર પરમધામ કૂલવાડી તરીકે પણ ઓળખાય છે. ત્યાં આજકાલ પ્રસાદી ભવન મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં અનેક ભાવિકો સામેલ થઈને ધર્મોત્સવ માણી રહ્યા છે. આ દરમિયાન, વિશ્ર્વસ્ત સૂત્રો જણાવે છે એ મુજબ, પારાયણ વખતે હરિભાઈ વેલજીભાઈ ખાંલિયા નામના એક વયોવૃધ્ધ હરિભકતને પોતાના દેહાંતનો અણસાર આવી ગયો હોય કે પછી ભાવૂક બની ગયા હોય એમ તેમણે જાહેર કર્યું કે તા.24ના સાંજે 5 વાગ્યે ભગવાન મને લેવા આવશે.
ધૂતારપર નજીકના આ ગામે એક સંસારી હરિભકતની આવી જાહેરાતની વાત ફેલાતા ભાવિક સમૂદાયમાં પણ આશ્ર્ચર્ય ફેલાયુ છે અને આસ્થામિશ્રિત કૌતુક સાથે કેટલાક લોકોએ ખરાઈ કરવા જામવંથલીના લાગતા વળગતા પરિચિતોના ટેલિફોનિક સંપર્ક કરવા માડ્યા છે. ઉલ્લેખનીય છે કે હરિભાઈ બહેરિન મિલ્ટ્રીમાં નોકરી કરી ચૂકયા છે. કુંભાર જ્ઞાતિના હરિભાઈ વેલજીભાઈ ખોલિયા સુથારીકામ કરતા અને બહેરિન મિલ્ટ્રીમાં 20 વર્ષ નોકરી કરી ચૂક્યા છે. 18 વર્ષથી જામવંથલીમાં જ રહે છે. શ્રી હરિ શરણાગતિ મંડળ સાથે સંકળાયેલા છે તથા કુંકાવાવ નવશિખર મંદિરમાં મુખ્ય સહયોગીઓમાંના એક છેઅને તેમણે કહ્યું હતું કે ભગવાન તેમને સાંજે 5 વાગે લેવા આવશે.