બનાસકાંઠામાં ઘાસચારાના અભાવે પાંજરાપોળની સેંકડો ગાયો રસ્તા પર છોડી મુકી
બનાસકાંઠા જિલ્લાના 97 જેટલા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ ઘાસચારના અભાવે તેમની સેંકડો ગાયોને રોડ પર છોડી દીધી હતી.
બનાસકાંઠા જિલ્લાના 97 જેટલા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ ઘાસચારના અભાવે તેમની સેંકડો ગાયોને રોડ પર છોડી દીધી હતી. ડીસાના રાજપુર પાંજરાપોળમાંથી એક હજાર કરતાં વધુ ગાયો રોડ પર છોડી દીધી હતી.તો બીજી તરફ તમામ પાંજરાપોળના સંચાલકોએ તેમના પાંજરાપોળમાં નિર્વાહ કરતી ગાયો સરકારી કચેરી ખાતે છોડી દેવાના નિર્ણયથી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
સરકારી અધિકારીઓએ પાંજરાપોળના સંચાલકો સાથે વાટાઘાટો કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ ન મળતાં પાંજરાપોળોના સંચાલકો તેમની માંગ પર અડગ રહ્યાં હતા. ગાયોને ઘાસચારા અને ગૌધનને બચાવવા ગૌસેવા પ્રેમીઓએ રસ્તા પર ગાયો માટે ભીખ માંગી દાનની વ્યસ્થા કરવા કરવા પ્રયાસ કર્યો હતો.
55 હજાર પશુઓની હાલત કફોડી બની
બનાસકાંઠા જિલ્લાની 97 જેટલી ગૌશાળાના સંચાલકો છેલ્લા દોઢ માસથી ગૌધન માટે સહાયની અને માંગ કરી રહ્યા છે. પરંતું, સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતાં અને ગાયો રસ્તા પર છોડી દેવાની ચિમકી ઉચ્ચાર્યા બાદ પણ તંત્ર આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બે દિવસથી વહીવટી તંત્ર જોડે બેઠક યોજી હોવા છતાં કોઈ પરિણામ ના મળતા આખરે શનિવારે વહેલી સવારે ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકોએ પોતાની પશુઓ સરકારી કચેરી ખાતે છોડી દેવા નિર્ધાર કર્યો હતો.
અધિકારીઓએ પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી
ડીસા નજીક રાજપુર પાંજરાપોળના સંચાલકોએ વહેલી સવારે એક હજાર કરતા વધારે ગાયો રોડ પર છોડી મુકતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વહીવટી તંત્ર એ પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી ખાલી હૈયાધારણા આપી હતી. જોકે ગૌશાળાના સંચાલકો તેમના ગાયો છોડવાને લઈ તેમના અડગ નિર્ણય પર યથાવત રહયા હતા.
ગૌભક્તોએ રોડ પર અબોલ પશુઓ માટે ભીખ માંગી
ડીસામાં તમામ ગૌસેવકોએ પાંજરાપોળના સંચાલકોને સમર્થન આપી શહેરના મધ્યે સરદાર પટેલ બગીચા પાસે ગાયો માટે ભીખ માગી દાન એકત્રિત કર્યું હતું. જેમાં તમામ ગૌરક્ષકો બેનર અને વાટકા લઈ ભીખ માંગી "સરકાર તો ગાયો માટે સહાય નથી આપતી પણ આપ તો ગાયો માટે દાન કરો"ના બેનર હેઠળ ભાવનાત્મક પ્રદર્શન કર્યુ હતું.
ગુજરાત સરકાર કેમ નથી કરતી સહાય ?
ગૌભક્તિના નામે સત્તા પર આવેલી સરકાર ગાયો અને અબોલ પશુઓ માટે કેમ સહાય નથી કરતી. જ્યારે, રાજસ્થાનની સરકાર પ્રતિ મોટા પશુએ અંદાજિત 65 રૂપિયાની ચુકવણી કરે છે. જ્યારે નાના પશુના પ્રતિ કેટલે 35 રૂપિયા ચૂકવે છે. તો બીજી તરફ ગુજરાત સરકારે છેલ્લા 17 વર્ષ પહેલા પાંજરાપોળને સહાય આપી હતી. ત્યારે બાદ કોઈ સહાય ચૂકવી નથી. રાજસ્થાન સરકાર જો પ્રતિ પશુએ સહાય ચૂકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં તેવા સવાલો ગૌભક્તોમાં ઉભા થયા છે.
પાંજરાપોળના સંચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલકો જ્યારે ગાયો છોડી અને જ્યારે તમામ ગાયો રોડ પર લઈ જઈ રહયા હતા. ત્યારે પાંજરાપોળના સંચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે પોલીસે દમન ગુજાર્યું હોવાના આક્ષેપો પાંજરાપોળના સંચાલકોએ કર્યા હતા. બાદમાં પોલીસ દ્વારા રસ્તા પર ગયેલી તમામ ગાયો પરત લાવવામાં આવી હતી. જોકે બનાવના પગલે થોડા સમય માટે ભરેલા અગ્નિ સ્થતી સર્જાઈ હતી.
જિલ્લા ક્લેકટરે 144 નું જાહેરનામું બહાર પાડ્યું
ગાયો છોડી મુકતાં ગભરાયેલી સરકારે ડીસામાં કલેકટર દ્વારા કલમ 144 અને 37(૧)(૩)મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેથી પાંજરાપોળના સંચાલકો તેમના પશુઓ બહાર લઈ જઈ શકશે નહીં. જો પશુઓ બહાર લઈ જાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જેના પગલે લોકો અને ગૌસેવકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.