જૈન દેરાસરમાં નવ વર્ષથી પુજા કરતા ત્રણ રાજસ્થાની પુજારીઓએ ચાર લાખની દાગીનાની ચોરી કરી
અમદાવાદના નારણપુરા ચાર રસ્તા પર આવેલા શ્રી આદીનાથ શ્વેતામંબર મંદિરમાં ત્યાં કામ કરતા પૂજારી દ્વારા જ 4 લાખના દાગીના ચોરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી દ્વારા તેમની વર્તણૂક શંકાસ્પદ જણાતા ફરિયાદ નોંધતા આ વાત
અમદાવાદના નારણપુરા ચાર રસ્તા પર આવેલા શ્રી આદીનાથ શ્વેતામંબર મૂર્તિપુજક જૈન સંઘના વાસુપુજ્ય સ્વામીનું જૈન દેરાસર આવેલું છે. જેના ટ્રસ્ટી તરીકે મયંકભાઇ શાહ છે. તેમણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમના દેરાસરમાં કનૈયાલાલ મેધવાલ (રહે. શ્રીનાથની ચાલી વાળીનાથ ચોક મેમનગર), ભેરૂલાલ તૈલી (રહે. શ્રીનાથની ચાલી, વાળીનાથ ચોક મેમનગર) અને રોશનલાલ તૈલી (રહે. બલોલનગર નવા વાડજ) છેલ્લાં આઠ વર્ષથી પુજારી તરીકે કામ કરે છે. વીસ દિવસ પહેલા ભેરૂનાથ હોળીની રજા લઇ રાજસ્થાન પોતાના ઘરે ગયા હતા. જ્યારે બીજા તરફ બીજા પુજારી પણ અનિયમિત રીતે આવતા હતા અને તેમની હિલચાલ પણ શંકાસ્પદ લાગતી હતી. જેથી 20મી માર્ચના રોજ મયંક શાહ અને અન્ય ટ્રસ્ટીઓએ મંદિરના ભોયરામાં રહેલી તિજોરીમાં તપાસ કરી હતી. જેમાં ચાંદીના દાગીના મુકવામાં આવતા હતા.
પણ તપાસ કરતા તેમાંથી આંગીના ચાંદીના દાગીના ગાયબ હતા અને તપાસ કરતા બંને પુજારીઓ પણ તેમના ઘરેથી શંકાસ્પદ સ્થિતિમાં ગાયબ થઇ ગયા હતા. જેથી ટ્રસ્ટીઓએ ભેરૂમલને ફોન કર્યા હતા. જો કે તે પણ સંતોષકારક જવાબ આપતો નહોતો. આ દરમિયાન 23મી માર્ચના રોજ ભેરૂમલ અમદાવાદ આવ્યાની માહિતી મળતા ટ્રસ્ટીઓએ તેને ઝડપીને પુછપરછ કરી હતી. પણ ફરીથી સંતોષકારક જવાબ ન મળતા નારણપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે રૂપિયા ચાર લાખની કિંમતની ચાંદીની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજી તરફ પોલીસે રોશનલાલ અને કનૈયાલાલને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. નારણપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે આર પટેલે જણાવ્યું કે અમે હાલ શંકાને આધારે ત્રણેય પુજારીની ઘરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. કારણ કે તિજોરીની ચાવી આ પુજારીઓ પાસે પણ રહેતી હતી અને તે નિયમિત રીતે ભગવાનના દાગીના લેતા તેમજ મુકતા હતા. દેરાસરમાં સીસીટીવી કેમેરા પણ છે. જેથી ફુટેજ મેળવવા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો કે પોલીસને શંકા છે કે ચોરીના ચાંદીના દાગીના રાજસ્થાનમાં છુપવવામાં આવ્યા છે.